વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે.
Vande Bharat train accident: વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. અકસ્માતને પગલે રેલવે વિભાગના કર્મચારી દોડતા થયા છે અને ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો છે.
વલસાડ: વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. અહીં ટ્રેન સાથે ગાય અથડાતાં ટ્રેનને નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માતને પગલે રેલવે વિભાગના કર્મચારી દોડતા થયા છે અને ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો છે. એન્જીનના ભાગે પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાળવા મળી રહ્યું છે. આજે સવારે ટ્રેન અમદાવાદથી મુંબઇ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.
અમદાવાદમાં ભેંસ અથડાતાં થયો હતો અકસ્માત
આ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ વંદે ભારત ટ્રેનનો અકસ્માત નડ્યો હતો. અમદાવાદના વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા આ અકસ્માત થયો હતો. સવારે 11:18 વાગ્યાની આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું હતું. વંદેભારત ટ્રેન 180ની સ્પીડ પર મુંબઇથી ગાંધીનગર જઇ રહી હતી. ત્યારે જ અમદાવાદનાં મણિનગર પાસે ટ્રેનના આગળના ભાગમાં ભેંસ અથડાઇ હતી. આ ઘટના બાદ પ્રવાસીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જોકે, તમામ પ્રવાસીઓ સુરક્ષિત હતા. આ ઘટના બાદ અધિકારઓએ તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી.
આ અકસ્માતના સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. આણંદ પાસે ગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું હતું. વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ તરફ જતી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જોકે, આ ઘટનામાં ટ્રેનને મામૂલી નુકસાન પહોંચ્યું હતું.