વલસાડ: વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડ વાપી વચ્ચે વંદે ભારત ટ્રેનની અડફેટે ગાય આવી ગઇ હતી. જેના લીધે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે થોડા સમય સુધી ટ્રેન રોકવામાં આવી હતી. ગાયના મૃતદેહને ટ્રેક પરથી દૂર કરી ફરી ટ્રેનને મુંબઈ તરફ રવાના કરાઇ હતી. ટ્રેનના આગળના ભાગે થોડું નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે મોટી દુર્ઘટના ટળી છે. અવારનવાર વંદે ભારત ટ્રેનની અડફેટે પશુઓ આવતા અકસ્માત સર્જાય છે.
વાપી, સંજાણની વચ્ચે અકસ્માત સર્જાયો હતો
વંદેભારત ટ્રેનના ઉદ્ઘાટન બાદથી જ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આ ટ્રેનને અત્યાર સુધી અસંખ્ય અકસ્માત થયા છે. ટ્રેનને આડે રખડતા ઢોર આવતા ટ્રેનને નુકસાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. અગાઉ ડિસેમ્બર મહિનામાં વંદે ભારત ટ્રેન મુંબઈ તરફ જતી વખતે વાપી, સંજાણની વચ્ચે પહોંચતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ગાય વચ્ચે આવી જતા થયો હોવાની વાત સામે આવી હતી. થોડી સામાન્ય મરામત કરીને ટ્રેનને આગળ મોકવામાં આવી હતી.
અમદાવાદના વટવા અને મણિનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઇ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માત બાદ પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
નડિયાદ-આણંદ વચ્ચે થયો હતો અકસ્માત
સાતમી ઓક્ટોબરના દિવસે વંદે ભારત ટ્રેનને આણંદ પાસે અકસ્માત નડ્યો હતો. નડિયાદ-આણંદ વચ્ચેના બોરીયાવી કણજરી સ્ટેશન પાસે ગાય અથડાતા વંદે ભારત ટ્રેનનો અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. જો કે, આ ઘટનામાં ટ્રેનને મામુલી નુકસાન પહોંચ્યું હતું, પરંતુ પ્રવાસીઓને કોઈ જાનહાની થઈ નહોતી.