વારંવાર રજુઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
વલસાડના ઉંટડી ગામમાં મીઠા સત્યાગ્રહની યાદમાં બનાવમાં આવેલુ સ્મારક ખંડેર હાલતમાં છે. ઉંટડીમાં કસ્તુરબા તથા સરોજીની નાયડુ સત્યાગ્રહમાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરતા હતા. ટૂરિઝમ વિભાગની ટીમ 2 વર્ષ પહેલા મુલાકાતે આવી હતી.
Akshay kadam, valsad: વલસાડ તાલુકાના કાંઠાના ગામ ધરાસણામાં 1930ના મીઠા સત્યાગ્રહની યાદમાં બનેલા ગાંધી સ્મારકની સાથે જ ઉંટડી ગામમાં બનાવામાં આવેલું સ્મારક ખંડેર હાલતમાં ફેરવાયું છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં પરિસ્થિતિ કોઈ ઉકેલ આવ્યો નથી. સત્યા ગ્રહમાં ઘાયલ લોકોની સારવાર ઉંટડી ગામ ખાતે કસ્તુરબા તથા સરોજીની નાયડુ દ્વારા કરવામાં આવતી હતી. જેની યાદમાં વલસાડના ઉંટડી ગામે સ્મારક બનાવમાં આવ્યુ હતું. પરંતુ હાલ આ સ્મારક ખંડેર હાલતમાં છે.
ટૂરિઝમ વિભાગની ટીમ 2 વર્ષ પહેલા મુલાકાતે આવી હતી
ઉંટડી ગામમાં આવેલા સ્મારકનું સ્થળ નિરીક્ષણ કરવા માટે રાજ્યના ટૂરિઝમ વિભાગની ટીમ 2 વર્ષ પહેલા મુલાકાતે આવી હતી. ત્યારે તેની સાથે વલસાડના ધારાસભ્ય,ગામના સરપંચ અને આરએન્ડબીના ઇજનરો પણ જોડાયા હતા.
આ બંન્ને સ્મારક સ્થળોને વિકસાવવા માટે દરખાસ્ત કરવાની તૈયારી પણ હાથ ધરાઇ હતી.આ સ્મારકોના સ્થળ,ક્ષેત્રફળ સહિત મુદ્દે ધારાસભ્ય ભરતભાઇએ 2 વર્ષ અગાઉ ટૂરિઝમના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો,પરંતુ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
ઉંટડી ગામે સ્મારક કેમ બનાવાયું જાણો
અંગ્રેજોના શાસન દરમિયાન આઝાદીના સંગ્રામની લડત વચ્ચે 1930ની સાલમાં અંગ્રેજોએ મીઠાં ઉપર લાદેલા કરના વિરોધમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ ઐતિહાસિક મીઠા સત્યાગ્રહ માટે દાંડી કૂચ કરાઇ હતી.ત્યારે ગાંધીજી ની સાથે કસ્તુરબા તથા સરોજીની નાયડુ પણ સાથે આવ્યા હતા.
વલસાડ તાલુકાના દરિયા કિનારે મીઠાંનું ઉત્પાદન કરતા ધરાસણા ગામે સત્યાગ્રહીઓ ઉપર અંગ્રેજોએ દમન ગુજારી હિંસક કાર્યવાહી કરતાં અનેક લોકો ઘાયલ થયા હતા અને ઘાયલ લોકોની સારવાર કસ્તુરબા તથા સરોજીની નાયડુ દ્વારા ઉંટડી ગામમાં કરવામાં આવતી હતી. બાદ વલસાડના ધરાસણા ગામે અને ઉંટડી ગામે સ્મારક બનાવમાં આવ્યા હતા.
1930માં ધરાસણામાં શું થયું હતું
દાંડી કૂચ 6 એપ્રિલ 1930ના રોજ પૂર્ણ થઇ હતી.અંગ્રેજોના મીઠા ઉપર કરના વિરોધમાં દેશવ્યાપી મીઠા સત્યાગ્રહની આ ચળવળ હતી.દાંડીમાં જ ગાંધીજીની ધરપકડ કરાઇ હતી.ત્યારબાદ આયોજન મુજબ સત્યાગ્રહીઓ નિવૃત્ત ન્યાયાધીશ અબ્બાસ તૈયબજી અને કસ્તુરબા સાથે ધરાસણા પહોંચે તે પહેલા તેઓની પણ ધરપકડ કરાઇ હતી.
ત્યારબાદ સરોજિની નાયડુ અને મૌલાના અબ્દુલ કલામ આઝાદના નેતૃત્વ હેઠળ શાંતિપૂર્ણ આંદોલન ચાલૂ રહ્યું હતું.ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના સંખ્યાબંધ સ્વંયસેવકોએ ધરાસણા સોલ્ટ વર્કસ તરફ કૂચ શરૂ કરતાં અંગ્રેજોએ તેમની ધરપકડ કરી સત્યાગ્રહીઓ ઉપર દમન ગુજાર્યો હતો.આ લડત સાડા ત્રણ મહિના ચાલી હતી.