વલસાડમાં દંપતિ ઓર્ગેનિક દવા અને ખાતર બનાવી રહ્યાં છે. પહેલા ખેડૂતોને ફ્રીમાં દવા આપી હતી. તેમજ 100 જેટલા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળ્યાં છે. ગાયનાં છાણ, ગૌમૂત્ર વગેરેમાંથી દવા અને ખાતર બનાવે છે.
Akshay Kadam, valsad: પહેલાના ઋષિમુનિઓ દ્વારા ગાયના છાણ તથા ગૌમૂત્ર શુદ્ધિ માટે, પુંજાપાઠ તથા હવન વગેરે જેવું વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે મુંબઈ ખાતે પોતાની હાઈટેક લાઈફમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ વલસાડ ખાતે આવેલું દંપતિ દ્વારા વલસાડના ખેડૂતોના જાગૃત કરી ઓર્ગેનિક ખેતી તરફ પાડ્યા છે. પોતાના ઘરે ફાર્મ ખોલી ઓર્ગેનિક દવાઓ અને ખાતર ખેડૂતોને સસ્તા ભાવે આપી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.
વલસાડના કાંજર રણછોડ ગામ ખાતે રહેતા સંગીતાબેન અને તેમના પતિ અનુપભાઈ દ્વારા મુંબઈ ખાતે પોતાની હાઇટેક લાઈફમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ કાંજણ રણછોડ ખાતે શ્રદ્ધા ફાર્મ નામનો ડેરી ફાર્મ ખોલ્યો હતો. જેમાંથી નીકળતા છાણ તથા ગૌ મૂત્ર દ્વારા ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગમાં લેવાય એવી દવાઓ તથા ખાતરો બનાવવાનું શરૂ કર્યું હતું. બાદ તેમના દ્વારા દૂધ મંડળીમાં આવતા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી વિશે સમજ આપી હતી અને ઓર્ગેનિક ખેતીના ફાયદાઓ જણાવ્યા હતા.
ખેડૂતોને ફ્રીમાં ઓર્ગેનિક દવા અને ખાતર આપ્યાં
ખેડૂતો ખાસ કરીને પોતાના ખેતરમાં સારો પાક થાય અને કોઈ જંતુ પાકને ખરાબ ન કરે તે માટે રાસાયણિક દવાનો છંટકાવ કરતા હોય છે. જેને લઇને કારણે પાક વધુ પ્રમાણમાં થતો નથી અને રાસાયણિક દવા અને ખાતર મોંઘા મળતા હોય છે ત્યારે સંગીતાબેન અને તેમના પતિ દ્વારા ખેડૂતોને સમજાવી ઓર્ગેનિક ખેતી તરફ વાળ્યા હતા. એક વર્ષ સુધી તેમના દ્વારા ખેડૂતોને ફ્રીમાં ઓર્ગેનિક દવા તથા ખાતર આપી ખેતીમાં મદદ કરી હતી.
100 જેટલા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડાવી
ખેડૂતોને ઓર્ગેનિક ખેતીમાં ફાયદો થતાં ખેડૂતો દ્વારા રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા હતા.ઓર્ગેનિક ખેતી કરવા માટે ખેડૂતોને ન જેવી કિંમતે હવે ઓર્ગેનિક દવાઓ અને ખાતર આપવામાં આવે છે. એક વર્ષમાં સંગીતાબેન તથા તેમના પતિ અનુપભાઈ દ્વારા 100 જેટલા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી ઓર્ગેનિક ખેતી તરફ વાળ્યા છે.
ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને પણ તેમના ખેતરમાં સારો ફાયદો જોવા મળી રહ્યો છે. સાથે તેમના પાકમાં પણ વધારો થઈ રહ્યો છે અને ખેડૂતોને સારી એવી આવક ઊભી થઈ રહી છે.
નજીવા ખર્ચમાં ઓર્ગેનિક ખેતી થાય છે
વલસાડ ખાતે સંગીતાબેન અને તેમના પતિ દ્રારા શરૂ કરાયેલા શ્રદ્ધા ફાર્મ સાથે હાલ 100 જેટલા ખેડૂતો જોડાયા છે. ખેડૂતોનું કહેવું છે કે, રાસાયણિક ખેતી કરતા પણ એકદમ સસ્તા ભાવે ઓર્ગેનિક ખેતી થઈ જાય છે. રાસાયણિક ખેતીમાં જો દવાનો છંટકાવ એક આંબાવાડીમાં કરવો હોય તો આશરે 2000 થી 2500 રૂપિયાનો ખર્ચ થઈ જાય છે. ત્યારે ઓર્ગેનિક દવાનો છંટકાવ માત્ર 500 રૂપિયામાં જ સમગ્ર વાડીમાં થઈ જાય છે.
ઓર્ગેનિક દવાનો છંટકાવ અને ખાતર ઉપયોગ કર્યા બાદ ખેડૂતોના ખેતરમાં સારો પાક પણ થવા લાગ્યો છે. વલસાડના એવા પણ કેટલાક ખેડૂતો છે કે, જેમના ખેતરમાં ઓર્ગેનિક દવાનો છંટકાવ કર્યા બાદ હાલ આંબાવાડીઓમાં નાની નાની કેરીઓ પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે.
ઓર્ગેનિક દવાઓ અને ખાતરો માત્ર આંબાવાડીમાં જ નહીં પરંતુ શાકભાજીના પાકો લેતા ખેડૂતોને પણ સારો એવો ફાયદો પહોંચાડી રહી છે જેને લઈને ખેડૂતોને પણ સારી એવી આવક ઊભી કરવામાં મદદરૂપ થઈ રહી છે.
સંગીતાબેન અને તેમના પતિ દ્વારા વધુમાં વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે એ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને ઓર્ગેનિક ખેતી કરી ખેડૂતો તથા ખેતરમાંથી નીકળેલા પાકો ખાઈ લોકો સ્વસ્થ રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.