Home /News /valsad /Valsad: અહીંથી પસાર થવામાં ધ્યાન રાખજો, ટ્રાફિકમાં ન ફસાતા
Valsad: અહીંથી પસાર થવામાં ધ્યાન રાખજો, ટ્રાફિકમાં ન ફસાતા
બ્રિજ ને બંધ કરી દીધા બાદ જુના રેલવે ફાટકે, બલિઠા ફાટકે, ગરનાળામાં ટ્રાફિક જામના
વાપીની જીવાદોરી સમાન રેલવે ઓવર બ્રિજ બંધ થતાં ડાયવર્ઝન રસ્તાઓ પર ટ્રાફિક સર્જાયો છે.ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો તૌબા પોકારી ઉઠ્યા છે. આ અંગે તંત્ર સુચારુ આયોજનના પ્રયાસમાં જોતરાયું છે.
Akshay kadam, valsad: વાપીની માધ્યમથી પસાર થતી રેલવે લાઈન પર ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. જેમાં વાપીને ઇસ્ટ- વેસ્ટ સાથે જોડતા એક માત્ર રેલવે ઓવરબ્રિજની ઊંચાઈ બાધારૂપ બની છે. આ ROB ને તોડી નવા ROBના નિર્માણનું કાર્ય હાથ ધરવાનું છે.
પરિણામે બ્રિજને બંધ કરી વૈકલ્પિક રૂટ તૈયાર કરી ડાયવર્ઝન આપવામાં આવતા શહેરીજનોની હાલાકી વધી છે. ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો તૌબા પોકારી ઉઠ્યા છે. જે અંગે વહીવટીતંત્ર સુચારુ આયોજનના પ્રયાસમાં જોતરાયું છે.
વાપીમાં ઇસ્ટ-વેસ્ટને જોડતા હયાત રેલવે ઓવર બ્રિજને તોડી તેના સ્થાને 144 કરોડના ખર્ચે વધુ ઊંચાઈનો ફોરલેન બનાવવાની મંજૂરી મળ્યા બાદ 2 વર્ષે ROB ને બંધ કરી તેને તોડી પાડવાની અને નવા બ્રિજની નિર્માણ કામગીરીની શરૂઆત થઈ છે. પાલિકાના સત્તાધીશોએ PWD, વહીવટીતંત્ર, પોલીસતંત્ર સાથે રહી સુચારુ આયોજન કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે, બ્રિજને બંધ કરી દીધા બાદ જુના રેલવે ફાટકે, બલિઠા ફાટકે, ગરનાળામાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. ટ્રાફિક ને નિયંત્રણમાં લેવા પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
વાપી નગરપાલિકાના પ્રમુખ શું કહ્યું?
વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે, 144 કરોડના ખર્ચે નવા બ્રિજનું કામ હાથ ધરવામાં આવ્યું છે. હાલ જુના ઓવરબ્રિજને બંધ કરવામાં આવ્યો છે. આગામી 20 મહિના સુધી શહેરીજનોએ તકલીફ વેઠવાની છે. પરંતુ આ તેમના ભવિષ્ય માટેનું આયોજન છે. એટલે જનતા પણ સહયોગ આપી રહી છે.
પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, પાલિકા આ બ્રિજના નિર્માણ સાથે 6 મહિનામાં જ રેલવે અન્ડરપાસ, પેડેસ્ટ્રીયન બ્રિજ પણ તૈયાર કરશે. જે અંગે રેલવે સાથે સંકલન સાધ્યું છે. લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે પ્રકારનું આયોજન કરવા શહેરના ડાયવર્ઝન રૂટ સહિતના વિસ્તારની સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી રહી છે.
નગરપાલિકાના ચીફ ઓફિસરે શું કહ્યું?
વાપીના ઇસ્ટ વેસ્ટમાં આવાગમન કરતા વાહનચાલકો, શહેરીજનો, શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, કામધંધે જતા કામદારો છેલ્લા 2 દિવસથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જુના ફાટકે અને બલિઠા ફાટકે ટ્રેનના આવાગમન દરમ્યાન ફાટક બંધ કરી દેતા લાંબો ટ્રાફિક જામ થઈ રહ્યો છે. જેમાં આખરે શહેરીજનો અને પોલીસતંત્ર ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
આ અંગે વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, વાપી ROB ને બંધ કર્યા બાદ રેલવે ગરનાળા સાથે જુના ફાટકને ફરી ખોલીને તેમજ રીંગરોડ, બલિઠા ફાટક તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જુના ફાટકના સ્થળે અને બલિઠા ફાટકે ટ્રેનના આવાગમનને લઇ વારંવાર ફાટક બંધ થતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. જેના નિરાકરણ માટે વહેલી તકે અન્ડરપાસ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે. મોટા વાહનોને હાલ મોતીવાડા અને ભીલાડ તરફ ડાયવર્ઝન આપ્યું છે. નાના વાહનો માટે વધુ વૈકલ્પિક રસ્તા શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ચોમાસામાં પાણી ભરાવાની શક્યતા
ચોમાસા દરમિયાન અંડરપાસમાં પાણીના ભરાય તે માટેનું આયોજન કરાયું છે. જ્યારે આ નવો બ્રિજ ઇમરાનગરથી મુક્તાનંદ માર્ગ સુધી બનવાનો છે. જે હયાત બ્રિજ કરતા વધુ લાંબો છે. આ બ્રિજની નીચે વધુ એક અન્ડરપાસ બનાવવામાં આવશે. જે પૂર્વ વાપીમાંથી પશ્ચિમ વાપીમાં ઝંડા ચોકમાં ખુલશે. 7 મીટર પહોળાઈના આ RUBમાં નાના વાહનો અવરજવર કરી શકશે. જેની ઉપર 16 મીટરની પહોળાઈનો ફોર લેન ROB હશે. બ્રિજ બન્યા પછી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
વાપી ડિવિઝનના DYSPએ શું કહ્યું?
વાપી ડિવિઝનના DYSP બી. એન. દવેએ જણાવ્યું હતું કે, મુખ્ય ઓવરબ્રિજના ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિકને કંટ્રોલ કરવા ગરનાળા પર, ફાટક પર, રીંગરોડ તરફ બલિઠા ફાટકે, મોરાઈ ફાટકે ટ્રાફિક જવાનો ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે. અંદાજિત 100 જેટલા પોલીસ જવાનો આ માટે ફરજ બજાવી રહ્યા છે.
વાહન ચાલકોનો સમયના બગડે ટ્રાફિકની અડચણ આવે નહિ, ભારે વાહનો નડતરરૂપના બને તેવું આયોજન કરવામાં આવ્યું છે. જુના રેલવે ઓવરબ્રિજને બંધ કર્યા બાદ વાપી શહેરમાં સ્થિત બસ સ્ટેશનને હાઇવે પર હંગામી ધોરણે શિફ્ટ કરવામાં આવ્યું છે. જ્યાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ પણ પ્રકારનો ટ્રાફિક નડતરરૂપ ના બને તે માટે હાઇવે પર બસ સ્ટેશન આસપાસ અને સર્વિસ રોડ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રેલવે ઓવરબ્રિજ વિષે જાણો
અંદાજિત 1400 મીટરના જુના રેલવે ઓવરબ્રિજના સ્થાને 144 કરોડના ખર્ચે 1761 મીટર લંબાઈનો નવો ROB નિર્માણ કરવામાં આવશે. 16 મીટર પહોળાઇનો આ બ્રિજ ફોરલેન અને ફૂટપાથ ધરાવતો બ્રિજ હશે. અંદાજિત 9 મીટરની ઊંચાઈના આ બ્રિજ માટે આસપાસની કેટલીક મિલકતો પણ એકવાયર કરવામાં આવી છે.