વલસાડમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે બનાવવા માટે સરકારે વલસાડના 29 ગામની 200 એકર જમીન સંપાદિત કરી છે. જેને લઈને સરકારે ખેડૂતોને 2000 કરોડથી વધુ રૂપિયા ચૂકવ્યા છે.
ભરતસિંહ વાઢેર, વલસાડઃ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલો દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઇવે વલસાડ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે. હાઇવે બનાવવા માટે સરકારે વલસાડના 29 ગામની જમીન સંપાદિત કરી છે. જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતોએ જમીન ગુમાવી છે. પરંતુ તેની સામે સરકારે ચૂકવેલા વળતરને કારણે ખેડૂતો માલામાલ થઈ ગયા છે.
માર્ગ-હાઇવે દેશના કરોડરજ્જુ સમાન
કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિકાસને વધુ વેગવંતો બનાવવા દેશભરમાં નવા એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઈવેનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. સરકાર તેની પાછળ અબજો રૂપિયા ખર્ચી રહી છે. મહત્વપૂર્ણ છે કે,કોઈપણ રાજ્ય કે દેશના વિકાસ માટે જે તે દેશ કે રાજ્યના માર્ગો અને હાઇવે વિકાસની કરોડરજ્જુ માનવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી લઈ દેશની આર્થિક રાજધાની મુંબઈને જોડતા મહત્વકાંક્ષી ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે.
આ હાઇવે બનાવવા માટે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. ત્યારે દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે ગુજરાત રાજ્યમાંથી પણ પસાર થઈ રહ્યો છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના 29 ગામોમાંથી આ સુપર એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. આ એકસપ્રેસ હાઇવે બનાવવા માટે કેન્દ્ર સરકારે વલસાડ જિલ્લાના 29 ગામોની 590 એકરથી વધુ જમીન સંપાદિત કરી છે. જેમાં જિલ્લાના 2000થી વધારે ખેડૂત પરિવારો અસરગ્રસ્ત થયા છે. જો કે, પોતાની મહામૂલી અને ફળદ્રુપ જમીન સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવતા શરૂઆતમાં ખેડૂતોએ યોગ્ય વળતર માટે લાંબી લડત પણ ચલાવી હતી. પરંતુ અંતે ખેડૂતોએ હથિયાર હેઠાં મૂકી દીધા છે.
સરકારે ખેડૂતોને માલમાલ કરી દીધા
ખેડૂતો લડત કરી જેટલા વળતરની માંગ કરી રહ્યા હતા. તેનાથી પણ અનેકગણું વળતર સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે. આથી વલસાડ જિલ્લાના એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર 2000થી વધુ ખેડૂત પરિવારોને સરકાર દ્વારા કલ્પના બહારનું વળતર ચૂકવતા ખેડૂતો માલામાલ થઈ ગયા છે. આથી સરકારનો આ દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે અસરગ્રસ્ત ખેડૂતો માટે જેકપોટ સાબિત થયો છે. કારણ કે, વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત એવા ખેડૂત પરિવારો જે પતરાના કે કાચા મકાનમાં રહેતા હતા અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. ખાવાના પણ ફાંફાં હતા એવા પરિવારો અત્યારે માલામાલ થઈ ગયા છે. કાચા ઘરની જગ્યાએ આલિશાન બંગલાઓ બંધાઈ રહ્યા છે. આ સાથે જ સાયકલ પર ફરવાના દિવસો હતા તેની જગ્યાએ હવે મોંઘીદાટ ગાડીઓ ખરીદી રહ્યા છે અને ખેડૂતોના જીવનમાં એકાએક મોટું પરિવર્તન આવી રહ્યું છે. આથી વલસાડ જિલ્લાના ખેડૂતો માટે જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ હાઈવે આશિર્વાદરૂપ અને સપનાઓ સાકાર કરનાર હાઇવે પુરવાર થઈ રહ્યો હોવાનું ખેડૂતો માની રહ્યા છે.
સરકારે જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અંદાજે 2000 કરોડથી વધુ રૂપિયાનું વળતર ચૂકવ્યું છે. વલસાડ જિલ્લાના એકલા અટગામ ગામમાં જ 80થી વધુ ખેડૂતોની જમીન સરકારે સંપાદિત કરી છે. જમીન સંપાદનની સામે એકલા અટગામમાં જ અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા 200 કરોડથી વધુનું વળતર ચૂકવવામાં આવતા અટગામના એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર ખેડૂતો માલામાલ થઈ ગયા છે. તેમના જીવનમાં મસમોટું પરિવર્તન આવ્યું છે અને ગામમાં અનેક જગ્યાએ ઠેર ઠેર નવા આલિશાન મકાનો અને બંગલાઓ બંધાતા જોવા મળે છે. તો ગામમાં મોંઘાદાટ વાહનો પણ ખરીદવામાં આવી રહ્યા છે. આથી વલસાડ જિલ્લાના એકલા અટગામ ગામમાં જ અસંખ્ય પરિવારો જમીન ગુમાવ્યા બાદ પણ કરોડપતિ તો થયા જ છે. તેની સાથે અનેક ખેડૂતોએ જેટલી જમીન એકસપ્રેસ હાઇવેમાં ગુમાવી છે. તેના કરતાં બમણી જમીનના માલિક બની રહ્યા હોવાનું ગામના ખેડૂતો માની રહ્યા છે.
હાઇવેનું કામકાજ શરૂ થવાનું બાકી
વલસાડ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના નિર્માણ માટે સરકાર દ્વારા જમીન સંપાદનની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ખેડૂતોને વળતર પણ ચૂકવવામાં આવી રહ્યું છે. જોકે હજુ સુધી વલસાડ જિલ્લામાં તેના નિર્માણ શરૂ નથી થયું. પરંતુ નિર્માણ પહેલાં જ અસરગ્રસ્ત હજારો ગરીબ ખેડૂત પરિવારો માટે આ હાઇવે શુકનવંતો પુરવાર થઈ રહ્યો છે.