વાપી: તાલુકાના કરવડ ગામ નજીકથી થોડા દિવસ અગાઉ નહેરમાંથી એક નાના બાળકનું ધડ મળી આવવાના મામલે મોટા ખુલાસો થયો હતો. દાદરા નગર હવેલીમાંથી આવતી દમણ ગંગા કેનાલમાંથી બાળકનું ધડ મળી આવતા સેલવાસ અને વલસાડ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. આ બાદ આજે સેલવાસ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
આંગણામાં રમી રહેલ કોહલા પરિવારનો 9 વર્ષીય લાડકવાયો ચૈતા ગુમ થવાની ફરિયાદ સેલવાસ પોલીસને મળી હતી. આ બાદ, વાપીમાં મળી આવેલા ધડ અને ગુમ થયેલ ચૈતાની કડી જોડવા સેલવાસ અને વલસાડ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બાદ, હાલ પોલીસ દ્વારા મુખ્ય આરોપી એક સગીર સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ બાદ આરોપીઓ દ્વારા મોટો ખુલાસો બહાર આવ્યો છે. આ ખુલાસામાં જણાવવામાં આવ્યું છે કે, ચૈતા નામના બાળકની હત્યા પૈસાનો વરસાદ કરાવવા અને અસીમ શક્તિ મેળવવા મેલી વિદ્યા માટે નર બલી ચઢાવવામાં આવી હોવાનો વાત સામે આવી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મુખ્ય સગીર આરોપી ચિકન શોપ પર ખાટકીનું કામ કરતો હતો. તેમણે રમેશ નામના આરોપી પાસેથી પૈસાનો વરસાદ કરાવવાની લાલચે મેલી વિદ્યા કરાવી હતી. જણાવી દઈએ કે, પોલીસે માહિતી આપી હતી કે, સગીર આરોપીએ ચૈતાનું અપહરણ કરી તેના સહ-આરોપી શૈલેષ સાથે મળીને તેની હત્યા કરી હતી.
ગત 29 ડિસેમ્બરના રોજ દાદરા નગર હવેલીના સાયલી ગામે કોહલા પરિવારે પોતાના 9 વર્ષીય ચૈતાની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આંગણામાં રમી રહેલ 9 વર્ષીય ચૈતા ગુમ થતા પરિવારે ગામ અને સીમમાં તપાસ કરતા ચૈતા મળી નહોતી.
સ્મશાન બાળકનું માથું અને પગનો ભાગ પણ મળી આવ્યો
આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી. હવે વાપીમાં મળી આવેલ ધડની ઓળખ આ પરિવારે કરી છે. પરિવારનું માનીએ તો આ ડેડબોડીના હાથ પર બાંધવામાં આવેલ દોરાના આધારે તેમજ કદ કાઠી જોઈને પરિવારે વાપીમાંથી મળી આવેલ બાળકનો મૃતદેહ પોતાના લાડકવાયા ચૈતાનો હોવાનો દાવો કર્યો છે. આથી સેલવાસ પોલીસે વધુ તાપસ કરતા સાયલી વિસ્તારના સ્મશાન પાસે એક બાળકનું માથું અને પગનો ભાગ પણ મળી આવ્યો હતો. દમણ ગંગા નદીના કેનાલનું વહેણ વાપી તરફ હોય છે. જેથી ચૈતાનો મૃતદેહ નહેરના પાણીમાં સાયલીથી વાપી સુધી તણાઈ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.