Home /News /surendranagar /સુરેન્દ્રનગરના જિલ્લા પાણી-પુરવઠા વિભાગની કાર્યવાહી, ગેરકાયદેસર પાણી ચોરતા ચાર ખેડૂત સામે પોલીસ ફરિયાદ
સુરેન્દ્રનગરના જિલ્લા પાણી-પુરવઠા વિભાગની કાર્યવાહી, ગેરકાયદેસર પાણી ચોરતા ચાર ખેડૂત સામે પોલીસ ફરિયાદ
ફાઇલ તસવીર
સુરેન્દ્રનગર જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર પાણીની ચોરી કરતા ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાણી-પુરવઠા વિભાગે આવા 5 ખેડૂતો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગરઃ જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા ગેરકાયદેસર પાણીની ચોરી કરતા ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાણી-પુરવઠા વિભાગે આવા 5 ખેડૂતો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.
પાંચ ખેડૂતો સામે ફરિયાદ નોંધવામાં આવી
વઢવાણ તાલુકાના નગર ગામની સીમમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાંથી ખેડૂતો પાણી લેતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ પાંચેય ખેડૂતો સામે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતો દૂધરેજ તરફથી ખોડુ જતી પાઇપલાઇનમાં નગર ગામની સીમમાં ગેરકાયદેસર રીતે જોડાણ કરી પાણીની ચોરી કરતા હતા.
ખેડૂતો અવારનવાર પ્રશાસન સામે ફરિયાદ કરતા હોય છે કે, તેમને સિંચાઈ માટે પૂરતું પાણી આપવામાં આવતું નથી. તો વળી, ઘણીવાર તેને કારણે પાક બળી જતો હોય છે. પાણી વગર પાક સૂકાઈ જતો હોય છે. ત્યારે મોટા પ્રમાણમાં ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થતું હોય છે.
ખેડૂતોને વધારાનું પાણી સિંચાઈમાં આપશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, ‘આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલિયન એકર ફીટ પાણી મળશે.’ તેમણે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા 9 MAF પાણીના સ્થાને કુલ 11.27 મિલયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના પરિણામે આ વર્ષે ગુજરાતના ખેડૂતોના ભાગે વધારાનું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ બનશે.’
ઉનાળામાં પીવાનું પાણી પૂરતું
વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, ‘રાજ્યના જે ડેમોમાં જૂથ યોજાનાઓ છે ત્યાં નર્મદા સિવાયનું પણ પાણી આપવામાં આવશે. જેના પરિણામે આ વર્ષે રાજ્યના ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે. રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.’