રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : ઝાલાવાડની ધરા પર જાણે કે લુખ્ખા તત્વો બેખોફ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં ત્રીજી હત્યાના પગલે ઝાલાવાડની ધરા રક્તરંજિત થઈ છે. જોરાવરનગરમાં (Joravarnagar surendranagar) કરિયાણાના વેપારીની ગઈકાલે મોડી રાત્રે હત્યા કરવામાં આવી છે. રતન પર બાય પાસ પાસે કિરાણા ની દુકાન ચાલવતા વેપારીની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીની હત્યા (Surendranagar Murder) નીપજાવવામાં આવી છે. આ હત્યાકાંડના પગલે ચકચાર મચી ગઈ છે. હજુ તો જમાઈએ ખેલેલા ખૂની ખેલમાં સસરા અને સાળીના હત્યાકાંડની શાહી સુકાઈ નથી ત્યા વળી એક હત્યાનો બનાવ આવતા પોલીસતંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
બનાવની વિગત એવી છે કે સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં કોમલ પ્રોવિઝન સ્ટોર્સ ચાલવતા ભરત ભાઈ ચૌહાણની તીક્ષ્ણ હથિયાર હત્યાં અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાતે કોઈ શખ્સે તીક્ષ્ણ હથિયારોનાં ઘા ઝીંકી અને તેમનું ઢીમ ઢાળી દીધું હતું. બનાવની વિગતો સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. જોકે, ભરત ચૌહાણને સારવાર મળે તે પહેલાં તેમનું પ્રાણનું પંખેરૂં ઊડી ગયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાની ધરા ખૂની ખેલની હારમાળાથી રક્તરંજિત થઈ છે ત્યારે આ ઘટનાના પડઘાં પડ્યા છે.
ભરત ચૌહાણની હત્યા અંગદ અદાવતમાં થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
હકિતતમાં હજુ તો ગઈકાલે જ પત્ની સાથે ચાલી રહેલા ઘરકંકસામાં સુરેન્દ્રનગરના સરોડી ગામના જમાઈ હિતેશ કોરડીયાએ છ મહિનાથી રિસામણે ગયેલી પત્નીના પિયરમાં પહોંચી જઈને ખૂની ખેલ ખેલ્યો હતો. જમાઈએ આ ઘટનામાં હાથમાં છરી લઈને ધસી આવી અને સાસરિયાઓ પર આડેધડ હુમલો કર્યો હતો. આ હિચકારા હુમલામાં સાળીનું ઘટનાસ્થળે અને સસરાનું સારવાર દરમિયાન મોત થયું હતું. દરમિયાન આ ઘટનાને કલાકો પણ નહોતા વીત્યા તેવામાં જોરાવરનગરમાં બાયપાસ પર ખૂની ખેલ ખેલાઈ ગયો હતો. અદાવતમાં કોઈ શખ્સે ભરત ચૌહાણને તીક્ષ્ણ હથિયારોના ઊપરાછાપરી ઘા ઝીંકી અને તેમનું ખૂન કરી નાખ્યું હતું. આમ ઝાલાવાડની ધરા માટે નવા વર્ષની લોહિયાળ અને કરપીણ શરૂઆત થઈ છે. વર્ષ 2021ના પ્રથમ પાંચ દિવસમાં જ હત્યાના 3 બનાવો સામેે આવ્યા છે જ્યારે અકસ્માતે મોતનો પણ એક કિસ્સો સામે આવી ગયો છે.
દરમિયાન સુરેન્દ્રનગરના પાટડીમાં 3 જાન્યુઆરીની રાત્રિએ ખેતરમાં કૌટુમ્બિક કાકા અને ભત્રીજો ખેતરમાં હતા ત્યારે જંગલી ભૂંડ ત્રાટક્યા હતા તેવામાં આ ભૂંડને ભગાડવા માટે કાકા ઝેણુભાએ ફાયરિંગ કરતા ભત્રીજાનું ગોળી વાગતા મોત થયું હતું. આમ ઝાલાવાડની ધરતી પર રક્તચરિત્રનો સિલસિલો યથાવત રહ્યો છે.