સુરત: શહેરના વરાછા વિસ્તારમાં વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઝેર ગટગટાવી આપઘાત કર્યો છે. સ્કૂલથી મોડી આવતા માતા-પિતાએ ઠપકો આપતાં વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સ્કુલથી મોડી આવતા માતા-પિતાએ ઠપકો આપ્યો હતો
શિક્ષણ કે અન્ય કોઇપણ કારણસર માતા-પિતા દ્વારા ઠપકો આપતાં બાળકો દ્વારા અંતિમ પગલું ભરવામાં આવતું હોવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં બનેલી ઘટનાને લઇને ચકચાર મચી છે. વરાછાના દિવાળીબાગ ખાતે આવેલ શ્રીનિધિ સોસાયટીમાં રહેતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ ઘરમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાને પગલે પરિવારજનો દોડતાં થયા હતા અને વિદ્યાર્થીનીએ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. જોકે, સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું હતું.
વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં પરિવાર શોકમાં ડૂબી ગયો છે. મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થીની વરાછા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતીી. વિદ્યાર્થીની સ્કૂલેથી મોડી આવતાં માતા-પિતાએ તેને ઠપકો આપ્યો હતો. આ બાબતનું માઠું લાગી આવતાં વિદ્યાર્થીનીએ અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાને પગલે વરાછા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.