સુરત: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુરત કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. કોર્ટના નિર્ણયના 24 કલાકમાં જ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરવામાં આવી હતી. આ કેસમાં રાહુલ ગાંધી આવતીકાલે એટલે સોમવારે ઉપલી કોર્ટમાં અરજી કરવા માટે સુરત આવશે. રાહુલ ગાંધીએ બે વર્ષની સજા જાહેર કરવામાં આવી હતી જે બાદ કોર્ટ દ્વારા જામીન પણ મળી ગયા છે.
સોમવારે રાહુલ આવશે સુરત
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાહુલ ગાંધી માનહાની કેસ માટે સોમવારે ફરીથી સુરતમાં આવશે. તેઓ સોમવારે સુરતમાં ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. બીજીબાજુ ચૂંટણી કેરળમાં ચૂંટણી આવવાની છે. ત્યારે ચૂંટણી પંચે પણ કેરળની વાયનાડ બેઠક માટે પેટાચૂંટણી જાહેર કરી નથી કારણ કે, કોર્ટ તરફથી રાહુલને અપીલમાં જવા માટે 30 દિવસનો સમય આપવામાં આવેલો છે.
રાહુલને બે વર્ષની સજા
રાહુલ ગાંધી વિરુદ્ધ 2019માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સુરત કોર્ટે ચૂકાદો આપતા દોષિત જાહેર કર્યા હતા. આ મામલો મોદી અટક અંગેની ટિપ્પણી સાથે સંબંધિત છે. રાહુલ ગાંધીને આ મામલે બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેમણે આ દરમિયાન સુરતની કોર્ટમાં જ જામીન અરજી દાખલ કરી હતી. તેમના જામીન મંજૂર કરાયા હતા. દોષિત જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મેરા ભગવાન છે અને અહિંસા જ તેને પામવા માટેનું સાધન છે.
ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમનો આરોપ હતો કે, રાહુલે પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વાયનાડના લોકસભા સભ્ય રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીઓ પહેલા કર્ણાટકના કોલારમાં યોજાયેલી જાહેર સભામાં આ બાબતને લગતી ટિપ્પણીઓ કરી હતી.
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? આ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો.