સુરત: સુરતમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા પોલીસ કમિશનરે ફરમાન કર્યું છે. તેવામાં છેલ્લા 22 વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને PCB પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. આરોપી 22 વર્ષ પહેલા હત્યા કરી સુરતથી ફરાર થઇ ગયો હતો. તે દરમ્યાન ઓળખ છુપાવી રહેતો હોવાનું પોલીસને માલુમ પડતા આરોપીને ઝડપી પાડી ધરપકડ કરી હતી.
વર્ષ 2002માં હત્યાનો ગુનો નોંધાયો હતો
સુરત પોલીસ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તેવામાં સુરતમાં 2002ના વર્ષમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. તેના આરોપીને 22 વર્ષ બાદ ઝડપી પાડ્યો હતો. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ ખોડિયાર નગરમાં 2002ના વર્ષમાં હત્યા કરાયેલી લાશ નહેરમાંથી મળી આવી હતી. જે દરમિયાન પોલીસે તપાસ કરતા તે ગુનામાં આદિકાંત ઉર્ફે અધિકાર પ્રધાનનું નામ સામે આવ્યું હતું. જોકે આરોપી હત્યા કરી ફરાર થઇ જતા 22 વર્ષ સુધી આરોપી ઝડપાયો ના હતો. જે સમયે હત્યા થઈ તે સમયે આદિકાંત પ્રધાન તેમના મિત્રને મળવા માટે ખોડિયાર નગર અલથાણ ગયો હતો.
જોકે ત્યાં સાયકલ ચલાવવા બાબતે તેમના મિત્રના પાડોશમાં રહેતા શંકર બહેરા અને રંજન ગૌડ નામના બે વ્યક્તિઓ સાથે ઝગડો થયો હતો. આ ઝગડોમાં આદિકાંતે રંજન ગૌડને ગળાના ભાગે ચપ્પુ મારતા તેનું ઘટના સ્થળ પરજ મોત થયું હતું. જ્યારે શંકર બહેરાને હોસ્પિટલમાં દાખલ કરાતા તેમણે આદિકાંતનું નામ આપી દેતા આદિકાંત પ્રધાન ફરાર થઇ ગયો હતો.
હત્યા કર્યા બાદ આદિકાંત પ્રધાન તેમના વતન ગંજામ ભાગી ગયો હતો. જોકે પોલીસ ત્યાં પહોંચે તેની પહેલા આરોપી ત્યાથી પણ જંગલમાં ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ આરોપી આદિકાંત પ્રધાન ધંધો કરવા આંધ્રપ્રદેશ, કેરળ વગેરે જગ્યા પર ઓળખ છુપાવી રહેવા લાગ્યો હતો. આ દરમિયાન પોલીસે તેમના પર 40 હજારનું ઇનામ રાખ્યું હતું. આરોપી આદિકાંત પ્રધાન છેલ્લા 6 વર્ષથી સુરતમાં રહેવા આવ્યો હતો. જે પોતાની ઓળખ છુપાવી મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન PCB પોલીસને બાતમી મળી હતી. જેથી બાતમીના આધારે પોલીસે ડીંડોલી વિસ્તારમાં ગોવર્ધન નગર ખાતેથી આરોપી આદિકાંત પ્રધાનને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે ગુનો કબલયો હતો. જેથી પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.