Home /News /surat /Surat organ donation: સુરતમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ યુવકના અંગોએ પાંચ લોકોને નવજીવન આપ્યું
Surat organ donation: સુરતમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ યુવકના અંગોએ પાંચ લોકોને નવજીવન આપ્યું
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1023 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1023 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 430 કિડની, 183 લિવર, 8 પેન્ક્રીઆસ, 40 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 332 ચક્ષુઓના દાનથી કુલ 936 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
Surat organ donation: હિંદુ કારડીયા રાજપૂત સમાજના 36 વર્ષીય પૃથ્વીરાજસિંહ રાયસંગભાઈ ચૌહાણના પરિવારે ડોનેટ લાઈફ (Donate Life)ના માધ્યમથી પોતાના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન (Donation of Eyes) કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે, સુરત (Surat)ના કતારગામ વિસ્તાર (KatarGam Area)માં આવેલ અવધૂત નગર, 203 હરી ક્રિષ્ન એપાર્ટમેન્ટ માં પરિવાર સાથે રહેતા અને રત્નકલાકાર તરીકે કામ કરતા પૃથ્વીરાજસિંહ તા. 15 જુનના રોજ પોતાના મિત્રો સાથે દાંડી ફરવા ગયા હતા, ત્યાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે દાંડી રોડ ઉપર સિલ્વર સ્ટોન વિલાની સામે મોટર સાયકલ સ્લિપ (Road Accident)થઇ જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી તેમને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પીટલ (Surat New Civil Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલ (Kiran Hospital)માં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો.
જોકે નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ (Brain Hemorrhage) થવાને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. તા.17 જુનના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે પૃથ્વીરાજસિંહને બ્રેનડેડ જાહેર કર્યો હતો.મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી પૃથ્વીરાજ સિંહના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ સાથે રહી પૃથ્વીરાજસિંહના પરિવારજનોને અંગદાન (organ donation)નું મહત્ત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
પૃથ્વીરાજસિંહના ભાઈ જગતસંગ જેઓ રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેમજ પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે બનવાકાળ જે ઘટના બનવાની હતી તે બની ગઈ છે. આજે અમારો ભાઈ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. અંગદાનનું કાર્ય એક ઈશ્વરીય કાર્ય છે. પૃથ્વીરાજસિંહના પરિવારમાં તેના પિતા, પત્ની અને બે પુત્રો છે જેઓ ધોરણ 10 અને ધોરણ 8 માં અભ્યાસ કરે છે. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરી કિડની અને લિવર દાનમાટે જણાવ્યું હતું.
SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા હતા. કિરણ હોસ્પીટલના ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે કિડનીનું દાન, ડો. ધનેશ ધનાણી, ડો.મિતુલ શાહ, ડો.પ્રશાંથ રાવ અને તેમની ટીમે લિવરનું દાન, ડૉ.સંકીત શાહે ચક્ષુઓનું દાન સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ નવસારીની રહેવાસી 19 વર્ષીય યુવતીમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 22 વર્ષીય યુવકમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 67 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.
ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સ્વ. પૃથ્વીરાજસિંહ રાયસંગભાઈ ચૌહાણ અને તેમના સમગ્ર પરિવારને તેમણે કરેલા અંગદાનના નિર્ણય માટે સલામ કરે છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1023 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 430 કિડની, 183 લિવર, 8 પેન્ક્રીઆસ, 40 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 332 ચક્ષુઓના દાનથી કુલ 936 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.