સુરત: પુણાગામ સીતારામનગર સોસાયટીમાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરી રૂમ બહારથી બંધ કરી નાસી ગયો હતો. રૂમની બહાર લોહીના ડાઘ અને બારીમાંથી મહિલા લોહીલુહાણ હાલતમાં જોઇ આસપાસના પડોશીઓએ રૂમ માલિકને જાણ કરી હતી. બાદમાં માલિક અને પડોશીઓએ રૂમનો દરવાજો તોડી અંદર જોતા એક મહિલાની હત્યા કરાયેલી લાશ પડેલી હતી. મહિલાને ગળા, છાતી અને હાથ પર તિક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા.
આ અંગે પડોશીએ પોલીસને જણાવ્યા પ્રમાણે, ગત 28મી ઓક્ટોબરે ચંદ્રશેખર શર્મા અને પત્ની સંગીતા રહેવા આવ્યા હતા. રાતે આ બંને મોટેમોટેથી ઝઘડો કરતા હોવાનો અવાજ આવતો હતો.
જે બાદ અચાનક અવાજ બંધ થઇ ગયો અને થોડી વારમાં પતિ રૂમને તાળુ મારીને જતો રહ્યો હતો. જે બાદ આ અંગેની જાણ મકાન માલિકને કરી હતી.
મકાન માલિકે પતિને ફોન કર્યો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જેથી પોલીસે પતિ ચંદ્રશેખર સદાનંદ શર્મા (રહે, સીતારામનગર સોસા, પુણાગામ, મૂળ રહે, ઝારખંડ) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.