Gujarat Assembly election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપ સત્તા પર છે. આ વખતે ભાજપ સામે સત્તા બચાવવાનો પડકાર છે, જેથી કોંગ્રેસ ફરી એકવાર રાજ્યમાં પોતાનું ખોવાયેલું મેદાન શોધવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ દિલ્હી બાદ પંજાબમાં પોતાની સરકાર બનાવનાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી છે. જેથી આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. આ બધાની વચ્ચે અમે તમને ગુજરાતના સુરત શહેરની કતારગામ વિધાનસભા (katargam assembly constituency) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ બેઠકનો ઈતિહાસ શું હતો, અત્યાર સુધી આ બેઠક પર કોનો કબજો રહ્યો છે અને આ વખતે ચૂંટણીમાં ક્યા મુદ્દાઓ મહત્વના રહેશે.
કતારગામ વિધાનસભા બેઠક (Katargam assembly seat)
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી 182 બેઠક પર યોજાવા જઈ રહી છે. આ 182 વિધાનસભા બેઠકમાં કતારગામ વિધાનસભા બેઠક 166માં ક્રમાંકે છે. વર્ષ 2008માં ગુજરાતમાં વિધાનસભા મતવિસ્તારના નવા સીમાંકન બાદ સુરતની કતારગામ વિધાનસભા અસ્તિત્વમાં આવી છે.
નવા સીમાંકન બાદ ભાજપે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં નાનુભાઈ વાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યાં નાનુભાઈ વાનાણીએ કોંગ્રેસના ઉમેદવાર નંદલાલ પાંડવને જંગી બહુમતીથી હરાવ્યા હતા. તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં નાનુ વાનાણીની ટિકિટ કાપીને વિનોદ મોરડિયાને ધારાસભ્ય બનવાની તક આપી હતી.
2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે એકબીજાને કાંટાની ટક્કર આપી હતી. જેમાં ભાજપ ઉમેદવાર વિનોદ મોરડિયાએ કોંગ્રેસ ઉમેદવાર જિગ્નેશ મેવાસાને હરાવીને જીત મેળવી હતી. વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલન બાદ પણ આ બેઠક ભાજપના કબ્જે આવી હતી.
વિનોદ મોરડિયાને ગુજરાત સરકારના મંત્રાલયમાં સ્થાન મળ્યું છે. હાલમાં તેઓ શહેરી વિકાસ રાજ્યપ્રધાન છે. કતારગામ વિધાનસભા મતવિસ્તાર એકંદરે ભાજપની તરફેણમાં રહ્યો છે. ભાજપના વર્તમાન ધારાસભ્ય વિનોદ મોરડિયા પણ 2005થી 2020 સુધી ભાજપના કાઉન્સિલર રહી ચૂક્યા છે.
સુરત મહાનગરપાલિકાએ આ વિસ્તારમાં લગભગ તમામ વિકાસ કાર્યો કર્યા છે. વર્ષ 2012માં આ બેઠક પરથી વિજય મેળવનાર નાનુ વાનાણી અને વર્ષ 2017માં જીતનાર વિનોદ મોરડિયા બંને નેતાઓએ સરકારમાં પ્રધાન પદ મેળવ્યા છે.
વર્ષ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
2017 | વિનોદભાઈ મોરડીયા | ભાજપ |
2012 | નાનુભાઈ વાનાણી | ભાજપ |
કતારગામ વિધાનસભા બેઠકની વિશેષતા:
નવા સીમાંકન બાદ રચાયેલ કતારગામ વિધાનસભા બેઠક મતવિસ્તાર સુરત લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. હાલમાં સુરત લોકસભા મતવિસ્તારમાંથી દર્શનાબેન જરદોશ ભાજપના સાંસદ છે. દર્શનાબેન જરદોશ કેન્દ્ર સરકારમાં ટેક્સટાઈલ અને રેલવે રાજ્ય પ્રધાન છે.
આ સેક્ટરનો મુખ્ય બિઝનેસ ડાયમંડ અને ટેક્સટાઈલ છે, પરંતુ મોટાભાગના લોકો હીરાના વ્યવસાય સાથે જોડાયેલા છે. સુરતના કતારગામ વિધાનસભા ક્ષેત્રમાં મોટાભાગના મધ્યમ વર્ગના લોકો રહે છે, જેઓ અત્યાર સુધી ભાજપના સમર્થક સાબિત થયા છે.
આ વિસ્તારમાં કાપડની લૂમની સાથે કાપડની મિલો અને હીરાના નાના કારખાનાઓ પણ છે. જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી શ્રમિકો પોતાનું ગુજરાન ચલાવવા માટે કામ કરે છે.
કતારગામ વિધાનસભા બેઠક પર મતદારોના સમીકરણ
આ વિધાનસભા બેઠક પર કુલ 2,77,436 મતદારો છે. આ મતદારોમાં 1,54,779 પુરુષ મતદારો છે અને 1,22,657 મહિલા મતદારો છે. પાટીદાર સમાજના મોટાભાગના લોકો સુરતના કતારગામ વિધાનસભા ક્ષેત્રમાં રહે છે.
આ વિધાનસભા મતવિસ્તારમાં પ્રજાપતિ સમાજનું વર્ચસ્વ પણ છે અને મોટી સંખ્યામાં દલિત વર્ગ પણ વસવાટ કરે છે. જે પાટીદાર ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવે છે તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ અને ટેક્સટાઈલ છે.
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પ્રજાપતિ સમાજમાંથી આવેલા નંદલાલ પાંડવ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજમાંથી આવેલા જીજ્ઞેશ મેવાસાને મેદાનમાં ઊભા રાખ્યા હતા. તેમ છતાં કોંગ્રેસે આ બંને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોની માંગ
સુરત મહાનગરપાલિકામાં સ્થાનિકોને રોડ, રસ્તાઓ, પાણી અને વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહી છે. આ વિસ્તારમાં એક પ્રાચીન કાંતારેશ્વર મંદિર છે, તથા હેરિટેજમાં શ્રેણી પ્રાપ્ત કરનાર ડચ કબ્રસ્તાન પણ છે. આ કબ્રસ્તાનનો વિકાસ પણ કરી શકાય છે.
જો લોકોની માંગણીઓને સંતોષવામાં આવે તો ભાજપ આ બેઠક પર ચૂંટણી જીતી શકે છે. પરંતુ આમ આદમી પાર્ટી વિજળી અને પાયાની જરૂરિયાતો આપવાનું પહેલાથી વચન આપી ચૂકી હોવાથી બીજેપીને આ વખતે વધારે મહેનત કરવી પડી શકે છે.
આમ આદમી પાર્ટી વગાડી શકે છે ડંકો
સુરતમાં 12 જેટલી વિધાનસભા બેઠક આવેલી છે અને આ તમામ 12 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. બારમાંથી ચાર કામરેજ, કરંજ, વરાછા અને કતારગામ વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી ભાજપનો ખેલ બગાડી શકે છે. વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલન બાદ પણ આ બેઠકો ભાજપના કબજે આવી હતી.
વર્ષ 2021માં યોજાયેલ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યા હતા. આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કામરેજ, કરંજ, વરાછા અને કતારગામ વિધાનસભા મતવિસ્તારમાં આવનારા વોર્ડમાં 27 જેટલા આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપના ગઢમાં શક્તિ પ્રદર્શન કરીને જણાવી દીધું છે કે, વર્ષ 2022 માં પરિવર્તનની ક્રાંતિ આવશે. તેનાથી ભાજપને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ 4 વિધાનસભા મતવિસ્તારમાં પાટીદાર સમાજનો મત નિર્ણાયક હોય છે.
આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ બંને માટે માથાનો દુખાવો સાબિત થઇ શકે છે. પાટીદાર મતવિસ્તાર ગણાતા વરાછા, કરંજ, કામરેજ, કતારગામ વિસ્તારના વોર્ડમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે. જેના પરથી સ્પષ્ટ રીતે કહી શકાય કે, ભાજપથી નારાજ અને કોંગ્રેસને નહીં પસંદ કરનારા લોકો માટે આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે સામે આવી છે.
ભાજપે ઘડવી પડશે વ્યૂહરચના
આમ આદમી પાર્ટી ભાજપને રસાકસીભરી ટક્કર આપી રહી છે. પાટીદાર વિસ્તાર તરીકે જે ચાર વિધાનસભા બેઠક છે, ત્યાં 20 લાખથી વધુ સૌરાષ્ટ્રવાસીઓ છે. જેઓને નિર્ણાયક મતદાતા તરીકે ઓળખવામાં આવે છે. ભાજપે આ ચૂંટણી જીતવા માટે વ્યૂહરચના ઘડવી પડશે અને કોંગ્રેસે શૂન્યમાંથી સર્જન કરવું જશે.
અરવિંદ કેજરીવાલે ભવ્ય રોડ શો કરીને આ 4 વિધાનસભા બેઠકના મત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાને કબ્જે કરી લીધા છે. આ ચૂંટણીની અસર વિધાનસભા ચૂંટણી પર થશે કે નહીં તે તો આગામી સમય પરથી જ જાણી શકાશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Katargam