ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly election 2022) આગમન સાથે જ રાજકીય ચહલપહલ શરૂ થઈ ચૂકી છે. સુરત જિલ્લાની બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપની નજર છે. આજે અહી સુરતની કરંજ બેઠક અંગે જાણકારી આપવામાં આવી છે. કરંજ વિધાનસભા મત (karanj assembly constituency) વિસ્તાર સુરત જિલ્લામાં આવેલો છે. આ સીટ 2008ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી.
કરંજમાં ખાસ કરીને આદિવાસીઓ વસે છે. આ પંથકમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, દૂધની ડેરી વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. આ વિધાનસભા બેઠક અંતર્ગત સુરત શહેર તાલુકાના સુરત મહાનગરપાલિકા વોર્ડ નં. – 36, 46, 47, 48 નો સમાવેશ થાય છે.
સુરતની કારંજ વિધાનસભાની રાજકીય પૃષ્ઠભૂમિની વાત કરીએ તો અહીંના મતદારોએ ભાજપને સમર્થન આપ્યું છે. 2012 અને 2017માં યોજાયેલી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય એનો જીવતો જાગતો પુરાવો છે.
2016માં જ્યારે સમગ્ર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું ત્યારે તેની અસર અહીં પણ જોવા મળી હતી. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપને પસંદ કર્યો હતો. જો કે તે સમયે પાટીદાર આંદોલનને કારણે ભાજપને ડર હતો કે તેના તત્કાલિન ધારાસભ્ય જનક બગદાનવાલાની હાર થઈ શકે છે. કદાચ એટલે જ તેમના સ્થાને પ્રવીણભાઈ ઘોઘારીને ઉમેદવાર તરીકે ઉતાર્યા અને ચૂંટણી જીત્યા.
2008 વિધાનસભાના સીમાંકન પછી કારંજ વિધાનસભાની રચના કરવામાં આવી હતી અને 2012માં આ વિધાનસભા મત વિસ્તાર માટે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. કરંજ વિધાનસભા ક્ષેત્રમાં રહેતા 60 ટકા લોકો સૌરાષ્ટ્રના પાટીદાર પરિવારો છે. જ્યારે બાકીના 40 ટકામાં અન્ય તમામ સમાજના લોકોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ડાયમંડ અને એમ્બ્રોઇડરીના કારખાના આવેલા છે, જ્યાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કામદારો કામ કરે છે. રહેણાંક વિસ્તારોની વાત કરીએ તો અહીં મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના લોકો રહે છે.
કરંજ બેઠકના રાજકીય સમીકરણ (Political equation of Karanj seat)
સુરતના કરંજ વિધાનસભા ક્ષેત્રમાં રહેતા 60% લોકો પાટીદાર સમાજના છે, જેઓ હંમેશા ભાજપને સમર્થન આપતા આવ્યા છે. 2017ની ચૂંટણીમાં એવું માનવામાં આવતું હતું કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની અસર આ પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારમાં થશે અને ભાજપને નુકસાન થશે. પરંતુ ચૂંટણીના પરિણામોમાં આવું થયું નથી. ભાજપના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી ચૂંટાયા અને કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો.
આ પ્રદેશના બાકીના 40% મતદારો વિવિધ સમાજમાંથી આવે છે. પરંતુ પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિધાનસભા મત વિસ્તારમાં નિર્ણાયક મત માત્ર પાટીદાર સમાજનો છે. ચૂંટણીલક્ષી મુદ્દાઓની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારના લોકોને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. વીજળી પાણી રોડ કે અન્ય કોઈ સામાજિક સમસ્યા નથી.
2012માં આ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતેલા ભાજપના જનકભાઈ બગદાણાવાલા અને 2017માં ચૂંટણી જીતેલા વર્તમાન ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી લેઉવા પટેલ સમાજના છે. ભાજપના તત્કાલિન ધારાસભ્ય જનકભાઈ બગદાણાની ટીકીટ કાપીને ભાજપે પ્રવીણભાઈ ઘોઘારીને ટીકીટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પ્રવીણભાઈ ઘોઘારી પણ લેવા પટેલ સમાજમાંથી આવે છે.
હવે જોવાનું એ રહેશે કે, 2022ની ચૂંટણીમાં ભાજપ ફરી જીત જાળવી રાખવામાં સફળ રહે છે કે કેમ? કારણ કે કોંગ્રેસની સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ ભાજપને ટક્કર આપવા મેદાનમાં ઉતરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરંજ વિધાનસભા બેઠક પરથી ભાજપના પ્રવિણભાઈ મનજીભાઈ ધોધારીએ મોટી જીત નોંધાવી હતી. તેમણે કોંગ્રેસના ભાવેશભાઈ ગોવિંદભાઈ ભુંભાળિયાને હરાવ્યા હતા. પ્રવીણભાઈને 38 હજારથી વધુ મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર પાસે 13 હજારથી વધુ મત હતા.
2012માં ભાજપને 115 બેઠકો મળી હતી, ભાજપને 47.9% વોટ મળ્યા હતા. 2012માં કોંગ્રેસે 61 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 38.9 ટકા મત મળ્યા હતા. જો 2014ની લોકસભા ચૂંટણીમાં વોટ ટકાવારીની વાત કરીએ તો ભાજપને 60.1 ટકા વોટ મળ્યા હતા, જો વિધાનસભા પર નજર કરીએ તો 162 સીટો અને કોંગ્રેસને 33.5 ટકા વોટ મળ્યા હતા, સીટોના હિસાબે 17 સીટો મેળવી હતી.
આપનો માસ્ટર સ્ટ્રોક
સસ્તી વીજળી આંદોલનને સમગ્ર ગુજરાતમાં જનસમર્થન મળી રહ્યું છે. સુરતના ઓલપાડ, વરાછા અને કરંજમાં લોકો દ્વારા પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ભાઈ ઈટાલીયા, પ્રદેશ પ્રભારી સંદીપ ભાઈ પાઠક, ગુલાબસિંહ જી ચૂંટણી પ્રભારી, મનોજ ભાઈ સોરઠીયા પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ, શાલુ બહેન પ્રવીણભાઈ શાહ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. પાર્ટી કાર્યાલય તરફથી શાલુબહેન પ્રવીણભાઈ શાહને કારંજ વિધાનસભા બેઠકના સંગઠન મંત્રી બનાવવામાં આવ્યા છે.
2022 માં લોકો માટે નવો વિકલ્પ
વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે પરંતુ આ વખતે સુરતમાં ભાજપ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ઉત્સાહભેર વિધાનસભાની ચૂંટણી લડવા જઈ રહી છે. જે કોંગ્રેસ અને ભાજપ બંને માટે માથાનો દુ:ખાવો સાબિત થઇ શકે છે. કારણ કે, જે રીતે પાટીદાર મત વિસ્તાર ગણાતા વરાછા, કરંજ ,કામરેજ વિસ્તારના વૉર્ડમાં આમ આદમી પાર્ટીના 27 જેટલા ઉમેદવાર ચૂંટાઈને આવ્યા હતા. તેનાથી સ્પષ્ટ થઇ જાય છે કે, ભાજપથી નારાજ અને કોંગ્રેસને નહીં પસંદ કરનારા લોકો માટે આમ આદમી પાર્ટી એક વિકલ્પ તરીકે સામે આવી છે.
કોંગ્રેસની સાથો સાથ આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી રહી છે. મનપાની ચૂંટણીમાં જે સ્પષ્ટ થઈ ગયું છે. પાટીદાર વિસ્તાર તરીકે જે ચાર વિધાનસભા બેઠક છે ત્યાં સૌરાષ્ટ્રવાસીઓની સંખ્યા 20 લાખથી પણ વધુ છે અને તેઓને નિર્ણાયક મતદાતા તરીકે પણ ઓળખવામાં આવે છે.