Surat news: સુરતના અઠવા વિસ્તારમાં અંગત અદાવતમાં એક યુવકને તીક્ષ્ણ હથિયારના 25 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. ઉલ્લેખનીય છે કે, પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે, હત્યારાઓએ એમડી ડ્રગ્સનો નશો કર્યો હતો અને બેરહેમીપૂર્વક હત્યા કરી હતી. તેટલું જ નહીં, હત્યારાઓ ઝઘડાના સમાધાન માટે 5થી 10 લાખ રૂપિયા માગતા હતા.
સુરતઃ શહેરમાં સતત ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાવેલ્સનો વેપાર સાથે જોડાયેલા એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. યુવકને 25 ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, અઠવા વિસ્તારમાં ટ્રાવેલ્સના વેપાર સાથે જોડાયેલા સાજીદ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. દસ મહિલા પહેલાં મૃતકને અસામાજિક તત્વો સાથે ઝઘડો થયો હતો. ત્યારે ગઈકાલે રાતે સગરામપુરા વિસ્તારમાં સાજીદ ઊભો હતો ત્યારે અંગત અદાવતમાં અજાણ્યા શખ્સોએ તેને 25 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ મચી ગયો છે.
પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. સમગ્ર વિસ્તારના સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ એમડી ડ્રગ્સનો નશો કરતા હોવાનું પણ સામે આવ્યું છે. તો બીજી તરફ, મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હત્યા કરનારા શખસો ઝઘડાના સમાધાન પેટે 5થી 10 લાખ રૂપિયા માગી રહ્યા છે.
આ મામલે મૃતકના બનેવીએ જણાવ્યુ હતુ કે, દસ મહિના પહેલાં એક ઝઘડો થયો હતો. જેમાં હત્યારાઓ સમાધાન માટે 5થી 10 લાખ રૂપિયા માગી રહ્યા હતા. તો ગઈકાલે હત્યારાઓએ એમડી ડ્રગ્સનો નશો કરી બેરહેમીથી મારી નાંખ્યો છે. સીસીટીવી ચેક કર્યા તો તેમાં બે લોકો દેખાતા હતા. અંદાજે રાતે સાડા આઠ વાગ્યાથી નવ વાગ્યા વચ્ચે આ હત્યા થઈ હતી.’