Home /News /surat /સુરતઃ બ્રેઇનડેડ થયેલા વ્યક્તિની આંખો-લિવરનું દાન, ત્રણ લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન અપાયું
સુરતઃ બ્રેઇનડેડ થયેલા વ્યક્તિની આંખો-લિવરનું દાન, ત્રણ લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન અપાયું
સુરતના બ્રેનડેડ યુવકે ત્રણ લોકોને નવજીવન આપ્યું
સુરતમાં રહેતા વિપુલભાઈ ભીકડીયાના અંગોનું દાન કરીને ત્રણ લોકોને નવજીવન મળ્યું છે. મહત્ત્વનું છે કે, તેમનું મોત થતા પરિવારજનોએ ડોનેટ લાઇફ દ્વારા લિવર અને આંખો દાન કરી હતી.
સુરતઃ શહેરમાં રહેતા વિપુલભાઈ ભીકડીયાના અંગોનું દાન કરીને ત્રણ લોકોને નવજીવન મળ્યું છે. મહત્ત્વનું છે કે, તેમનું મોત થતા પરિવારજનોએ ડોનેટ લાઇફ દ્વારા લિવર અને આંખો દાન કરી હતી. તેનાથી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના સિંગણપોર ગામમાં કોઝવે પાસે આવેલા જલદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા વિપુલભાઈને 22 ડિસેમ્બરે માથામાં દુખાવો ઉપડ્યો હતો અને ઉલટી થતા તેમને કતારગામમાં આવેલી અનુભવ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. બે દિવસની સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. ત્યારે 24મી ડિસેમ્બરે તેમને રજા આપી દેવામાં આવી હતી.
તબિયત બગડતા દાખલ કર્યા હતા
ઘરે આવ્યા બાદ થોડા દિવસ પછી તેમને ખેંચ આવતા ફરી અનુભવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે વધુ સારવાર માટે અન્ય વિનસ હોસ્પિટલમાં ડો. રાકેશ કળથીયાને ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે સીટી સ્કેન કરતા તેમની મગજની નસમાં લોહીનો ફુગ્ગો થઈ ગયો હોવાને કારણએ મગજની નસ ફાટી ગઈ હતી. ન્યૂરો સર્જન ડો. મેહુલ બાલધા અને ડો. જતીન માવાણીએ ક્લિપિંગ કરી મગજની ફાટેલી નસ બંધ કરી હતી અને ત્યારબાદ ફરીથી સીટી સ્કેન કરવામાં આવતા બ્રેઇન હેમરેજ થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કરવામાં આવ્યો હતો. 5મી જાન્યુઆરીએ તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી વિપુલભાઈની પત્ની, ભાઈ, બનેવી, સાળા અને પુત્રને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. ત્યારબાદ વિપુલભાઈના પરિવારજનોએ જણાવ્યુ હતુ કે, ‘વિપુલભાઈની કિડની છેલ્લા ચાર વર્ષથી ખરાબ થઇ ગઈ હતી અને તેમને કિડનીના ટ્રાન્સપ્લાન્ટની જરૂરત હતી. ઓર્ગન નિષ્ફળ થાય તેની પીડા અમે પણ અનુભવી છે. અમે વર્ષોથી ડોનેટ લાઈફની અંગદાનની પ્રવૃતિને સોશિયલ મીડિયામાં ફોલો કરી રહ્યા છે. તેમજ વારંવાર વર્તમાનપત્રોમાં પણ ડોનેટ લાઇફની અંગદાનની પ્રવૃત્તિના સમાચાર વાંચતા હતા. ત્યારે અમે હંમેશા વિચારતા હતા કે, આ માનવ સેવાનું ઉમદા કાર્ય છે. આજે અમારું સ્વજન બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. તો સ્વજનના અંગોના દાનથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તમે અંગદાન માટે આગળ વધો.’ પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા હૃદય મુંબઈની જશલોક હોસ્પિટલને, ફેફસાં ચેન્નાઈની MGM હોસ્પિટલને અને લિવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવ્યા હતા.