ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના પ્રથમ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ વિરાટ કોહલીના હાથમાં છે અને ન્યૂઝીલેન્ડની કેપ્ટનશિપ કેન વિલિયમ્સનના હાથમાં છે. વિરાટ અને વિલિયમ્સન પોતાની કારકિર્દીમાં બીજી વખત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ટકરાશે. આ સાંભળી તમે આશ્ચર્યચકિત થયા હશો પણ આ હકીકત છે. અમે વાત કરી રહ્યા છીએ 2008ની. 2008માં મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં અંડર-19નો વર્લ્ડ કપ રમાયો હતો. જેમાં સેમિ ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો મુકાબલો થયા હતા. રસપ્રદ વાત એ છે કે તે સમયે ભારતીય ટીમની કેપ્ટનશિપ કોહલીના હાથમાં હતી અને ન્યૂઝીલેન્ડની કેપ્ટનશિપ વિલિયમ્સનના હાથમાં હતી. આમ 11 વર્ષ પછી ફરી બંને કેપ્ટનો સેમિ ફાઇનલમાં ટકરાશે.
2008માં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 205 રન બનાવ્યા હતા. કોરી એન્ડરસને 70 અને વિલિયમ્સને 37 રન બનાવ્યા હતા. સિદ્ધાર્થ કૌલ, તન્મય શ્રીવાસ્તવ અને વિરાટ કોહલીએ 2-2 વિકેટ ઝડપી હતી. મેચમાં વરસાદ પડતા ભારતને જીતવા માટે 43 ઓવરમાં 191 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે ભારતે 41.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવી વટાવી લીધો હતો. વિકેટકીપર શ્રીવત્સ ગોસ્વામીએ 51 અને કેપ્ટન કોહલીએ 43 રન બનાવ્યા હતા. કોહલીને મેને ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ પછી ભારતીય ટીમ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ચેમ્પિયન બની હતી.