શૈલેષ મકવાણા : વિરાટ કોહલી નામ સાંભળતા જ મેદાન પર જેટલો આક્રમક બેટ્સમેન એટલો જ આક્રમક કેપ્ટન, સાથે જ ગુસ્સાથી ભરપૂર ક્રિકેટર (Virat Kohli) આંખોની સામે તરી આવે. રાહુલ દ્રવિડ, નામ સાંભળતા જ ક્રિકેટની દીવાલ, સ્વભાવે એકદમ શાંત પરંતુ અનુભવનો ભંડાર અને ક્રિકેટનું ફળદ્રુપ ભેજું નજર સામે આવે. એક તરફ આક્રમક કેપ્ટન (Virat Kohli) અને બીજી તરફ કુલ કોચ (Rahul Dravid) આ બંનેની જોડીના હાથમાં હવે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય હશે. અત્યાર સુધી કેપ્ટન અને કોચ તરીકે કોહલી અને રવિ શાસ્ત્રીની (India Head Coach) જોડીએ ભારતીય ટીમને નવી ઉંચાઈ અપાવી. પરંતુ હવે આ જોડી બદલાઈ રહી છે. રવિ શાસ્ત્રીનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ વર્લ્ડકપ (India New Head Coach Dravid) બાદ સમાપ્ત થઈ રહ્યો છે. ત્યારે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના આગામી કોચ બનશે. સ્વભાવે એકદમ વિરોધી એવા વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડની કોચ અને કેપ્ટન તરીકે ખેલાડીઓને સાથે રાખીને કેવી રીતે તાલમેળ (Rahul Dravid- Virat Kohli Head Coach) જાળવી શકશે એવી ચર્ચાએ ક્રિકેટ વર્તુળમાં જોર પકડ્યું છે.
કેમ કે ઈતિહાસ સાક્ષી છે કે કેપ્ટન તરીકે કોહલીની અલગ સ્ટાઈલ છે, જેનો તાલમેળ ન બેસતા ભૂતકાળમાં હેડ કોચ અનીલ કુંબલેને પોતાનું પદ છોડવું પડ્યું હતું. કુંબલેના વિવાદ બાદ કોઈ પણ પૂર્વ દિગ્ગજ કોહલીની સાથે કામ કરવા માંગતા ન હતા. ત્યારે શાસ્ત્રી-કોહલીની જોડી સફળ રહી, પરંતુ હવે શાસ્ત્રી કોહલીનો સાથ છોડી રહ્યા છે. અને રાહુલ દ્રવિડ ટીમના હેડ કોચ તરીકે નક્કી છે. ત્યારે આ બંને વચ્ચેનું ટ્યુનિંગ કેવું હશે અને કેવા ગેમપ્લાન સાથે તેઓ આગળ વધશે એ પણ એટલું જ મહત્વનું છે.
ક્રિકેટ પંડિતોમાં ચર્ચા અને ચિંતા ! હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની સરખામણીએ રાહુલ દ્રવિડની સ્ટાઈલ પણ બિલકુલ અલગ હશે. ટ્વેન્ટી-20માં તો કોહલીએ કેપ્ટન તરીકેથી રાજીનામું આપ્યું છે. પરંતુ વન-ડે અને ટેસ્ટમાં હેડ કોચ દ્રવિડને કોહલીના અલગ અંદાજને હેન્ડલ કરવાનો છે. ટ્વેન્ટી-20 વર્લ્ડકપ બાદ ભારતીય ટીમમાં ધરખમ ફેરફારના પણ એંધાણ છે. ત્યારે નવા અને યુવા ખેલાડીઓને રાહુલ દ્રવિડ એકદમ નજીકથી જાણે છે. કારણ કે દ્રવિડ બેંગાલુરુમાં આવેલી નેશનલ ક્રિકેટ એકેડમીના વડા તરીકેની જવાબદારી ઘણા લાંબા સમયથી સંભાળે છે. તેથી યુવા ખેલાડીઓની પ્રતિભાને સારી રીતે ઓળખે છે.
યુવા ખેલાડીઓ આગામી સમયમાં ભારતીય ટીમના ભાગ હશે
આઈપીએલમાં ધુંઆધાર પ્રદર્શન કરનારા યુવા ખેલાડીઓ આગામી સમયમાં ભારતીય ટીમના ભાગ હશે. ત્યારે હેડ કોચ તરીકે તેઓને હેન્ડલ કરવા દ્રવિડ માટે મુશ્કેલ નહીં હોય. પરંતુ કોહલીની આક્રમક રણનીતિ અને દ્રવિડનું શાંત વલણ આ બંને એકબીજાને અનુકુળ રહીને નિર્ણયો કરી શકશે કે કેમ એની ચર્ચા અને ચિંતા ક્રિકેટ પંડિતો કરી રહ્યા છે.
હેડ કોચ તરીકે દ્રવિડના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ચાર આઈસીસી ઈવેન્ટ રમશે. આગામી વર્ષે ટ્વેન્ટી-20 વર્લ્ડકપ ઉપરાંત 2023માં વન-ડે વર્લ્ડકપ પણ રમશે. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ 2023માં જ યોજાવાની છે. ટીમ ઈન્ડિયાએ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી ત્યાર બાદ કોઈ આઈસીસી ઈવેન્ટ ભારતના હાથે લાગી નથી. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની જોડી બંને આઈસીસી ઈવેન્ટ જીતવામાં નિષ્ફળ રહી હતી. 2013 બાદ એક પણ ICC ટ્રોફી નહીં જીતી શકવાના દુષ્કાળનો અંત લાવવાની મોટી જવાબદારી પણ દ્રવિડના શિરે રહેશે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર