ભારતીય ક્રિકેટ ટીમને હજુ પણ ઘરના સિંહના ટેગથી ઝઝુમવું પડે છે પણ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે મોટાભાગના દેશ વિદેશી પ્રવાસમાં ખરાબ પ્રદર્શન કરે છે. આવા સમયે ફક્ત એક ટીમ પર નિશાન સાધવુ સારું નથી. ભારત 2018માં વિદેશી પ્રવાસમાં બે શ્રેણી હાર્યું છે. પહેલા ભારતનો દક્ષિણ આફ્રિકા સામે(1-2થી) અને પછી ઇંગ્લેન્ડ સામે (1-4)થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આવું ત્યારે બન્યું જ્યારે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમને જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી.
રવિ શાસ્ત્રીને જ્યારે પુછવામાં આવ્યું કે ઓસ્ટ્રેલિયામાં તેની ટીમ પાસે શ્રેણી જીતવાની કેટલી તક છે. તો શાસ્ત્રીએ કહ્યું હતું કે તમારે પોતાની ભુલોથી શીખવાની જરુર છે. તમે જોશો કે વિદેશી પ્રવાસમાં ઘણી ઓછી ટીમો સારુ પ્રદર્શન કરી છે. 90ના દશક અને આ સદીની શરુઆતમાં કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયાએ આમ કર્યું હતું. દક્ષિણ આફ્રિકાએ કેટલાક સમય આમ કર્યું હતું. આ સિવાય છેલ્લા પાંચ-છ વર્ષમાં કોઈ ટીમે વિદેશી પ્રવાસમાં સારુ પ્રદર્શન કર્યું છે? તમે જ મને કહો. આવા સમયે ફક્ત ભારત ઉપર જ કેમ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે?
જ્યારે શાસ્ત્રીને પુછવામાં આવ્યું કે તેમણે કે સુકાની કોહલીએ ખેલાડીઓ સાથે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં પરાજયને લઈને વાત કરી હતી. તો જવાબ આપ્યો હતો કે અમારે તકને ઝડપી લેવી જોઈતી હતી. જો તમે ટેસ્ટ મેચને જોવો તો સ્કોરલાઇન જોઈને તમે અસલી તસવીર સમજી નહીં શકો. અમે ઘણી રોમાંચક ટેસ્ટ મેચ રમ્યા છીએ પણ અમે ચૂકી ગયા હતા. જેના કારણે અમારે અંતમાં ટેસ્ટ શ્રેણી ગુમાવવી પડી હતી.