વર્લ્ડ કપ સેમીફાઇનલમાં હાર્યા બાદથી ટીમ ઈન્ડિયા સતત ન્યૂઝમાં રહે છે. પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી હોવાના કારણે તથા ટીમની અંદર ચાલી રહેલા મતભેદોને કારણે ચર્ચામાં રહે છે. ટીમના કોચિંગ સ્ટાફને પસંદ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તેના માટે બીસીસીઆઈએ અરજીઓ પણ મંગાવી છે. તેની સમયમર્યાદા આ મહિનાના અંત સુધી છે. જોકે, હાલના કોચિંગ સ્ટાફનો કાર્યકાળ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ સુધી લંબાવવામાં આવ્યો છે. એવામાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની દેખરેખમાં જ ટીમ વિન્ડીઝનો પ્રવાસ કરશે.
ભારતીય ટીમના કોચ પસંદ કરવાનો નિર્ણય પૂર્વ ક્રિકેટર કપિલ દેવની આગેવાનીવાળી પસંદગી પેનલ કરશે. ટીમ ઈન્ડિયાના કોચ બનવાની રેસમાં અનેક નામ છે અને હવે આ કડીમાં શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મહેલા જયવર્ધને પણ સામેલ થઈ ગયો છે. કોચ પદ માટે શ્રીલંકાના આ પૂર્વ ક્રિકેટરનું નામ ઘણું આગળ છે જે ખૂબ ઓછા સમય માટે ઈંગ્લેન્ડનો સહાયક કોચ પણ રહ્યો છે. એવા અહેવાલ પણ છે કે જયવર્ધને 100 ટૂર્નામેન્ટમાં સાઉથૈમ્પટનની ફ્રેન્ચાઇઝી સાઉધર્ન બ્રેવનો મુખ્ય કોચ પણ બની શકે છે.
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મહેલા જયવર્ધનેએ 2011ની વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની વિરુદ્ધ સદી ફટકારી હતી. (ફાઇલ ફોટો)
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, મહેલા જયવર્ધનેને ભારતીય ટીમના કોચ બનવામાં રસ છે. મુંબઈ ઈન્ડિયન્સની સાથે કામ કરીને તેની પાસે સારો કોચિંગ અનુભવ છે. મુંબઈ ઈન્ડિયન્સનો કોચ બન્યા બાદથી ટીમે ત્રણમાંથી બે સીઝનમાં ટાઇટલ જીત્યું છે. રિપોર્ટ મુજબ, મહેલા જયવર્ધને ઉપરાંત ગૈરી કર્સ્ટન અને ટોમ મૂડી પણ કોચ પદની રેસમાં છે.
જો મહેલા જયવર્ધને ટીમ ઈન્ડિયાના કોચ તરીકે પસંદ થાય છે તો ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માની સાથે તેની જુગલબંદી જોવા જેવી હશે. એવું એટલા માટે કારણ કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન છે અને તે જયવર્ધનેની સાથે કામ કરી ચૂક્યો છે. એવું પણ માનવામાં આવે છે કે હાલમાં જ આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદથી અલગ થનારો કોચ ટોમ મૂડી પણ ટીમ ઈન્ડિયાના કોચ બનવાની રેસમાં છે.