કોલકાતા : રજત પાટીદારે (Rajat Patidar) બુધવારે પોતાના ક્રિકેટ કારકિર્દીની બેસ્ટ ઇનિંગ્સ રમી હતી. આઈપીએલ-2022ના (IPL 2022) એલિમિનેટર મુકાબલામાં તેણે 54 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા. તેણે ટી-20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેની ઇનિંગ્સની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG vs RCB)સામે 14 રને જીત મેળવી ક્વોલિફાયર-2માં સ્થાન બનાવ્યું છે.
આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 6 વિકેટે 193 રન બનાવી શકી હતી. કેપ્ટન રાહુલે 79 રન બનાવ્યા હતા પણ ટીમની જીત અપાવી શક્યો ન હતો. આરસીબીની ટીમ હવે 27 મે ના રોજ ક્વોલિફાયર-2 માં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. જીત મેળવશે તો ફાઇનલમાં સ્થાન બનાવશે.
28 વર્ષના રજત પાટીદારે પોતાની ઇનિંગ્સમાં 12 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. એટલે કે 90 રન તો બાઉન્ડ્રીથી ફટકાર્યા હતા. તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. જીત પછી તેણે કહ્યું કે એક ઓવરમાં સારું કર્યા પછી તેને લાગ્યું કે તે આજે મોટી ઇનિંગ્સ રમી શકે છે. પાટીદારે કહ્યું કે મેં પાવરપ્લેની અંતિમ ઓવરમાં ક્રુણાલ પંડ્યાની બોલ પર એક સિક્સર અને 3 ફોરની મદદથી 20 રન લીધા હતા. આ પછી મારામાં આત્મવિશ્વાસ આવ્યો હતો. લખનઉની ટીમે રજત પાટીદારના 2 થી 3 કેચ છોડ્યા હતા. જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.
રજત પાટીદારે કહ્યું કે મારી પાસે મોટા શોટ રમવાની ક્ષમતા છે. આ કારણે જ્યારે પણ ડોટ બોલ રમું છું તો તેનાથી ગભરાતો નથી અને મારી ઉપર દબાણ પણ બનતું નથી. ઓક્શનમાં ના ખરીદવાના સવાલ પર તેણે કહ્યું કે આ મારા હાથમાં નથી. ઓક્શનમાં ના ખરીદાયા પછી મેં પોતાની રમત પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તમને જણાવી દઈએ કે તેને આરસીબીએ આઈપીએલની હરાજીમાં ખરીદ્યો ન હતો. જોકે લવનીથ સિસોદીયાને ઇજા થતા આરસીબીએ તેને 20 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં ખરીદ્યો હતો. તે ટી-20 લીગના ઇતિહાસમાં પ્લેઓફમાં સદી ફટકારનાર પ્રથમ અનકેપ્ડ ખેલાડી પણ બન્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર