જોની બેરિસ્ટોની સદી (111) અને બેન સ્ટોક્સ (79), જેસન રોયની અડધી સદી (66)ની મદદથી ઇંગ્લેન્ડે આઈસીસી વર્લ્ડ કપમાં ભારત સામે 31 રને વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 337 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 50 ઓવરમાં 5 વિકેટે 306 રન બનાવી શક્યું હતું.
ભારતનો વર્લ્ડ કપમાં પ્રથમ પરાજય થયો છે. ભારત તરફથી રોહિત શર્માએ 102, વિરાટ કોહલીએ 66, હાર્દિક પંડ્યાએ 45 અને ધોનીએ અણનમ 42 રન બનાવ્યા હતા.
આ જીત સાથે ઇંગ્લેન્ડે સેમિ ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત બનાવી રાખી છે. ઇંગ્લેન્ડ હવે 3 જુલાઈએ અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે અને તે મેચમાં જીત મેળવશે તો સેમિ ફાઇનલમાં પહોંચી જશે. બીજી તરફ ભારત હવે આગામી 2 જુલાઈએ બાંગ્લાદેશ સામે રમશે.
અગાઉ બેરિસ્ટોએ 109 બોલમાં 10 ફોર અને 6 સિક્સર સાથે 111 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટોક્સે 54 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 79 રન બનાવ્યા હતા. રુટ 44, મોર્ગન 1, બટલર 20 અને વોક્સ 7 રન બનાવી આઉટ થયો હતો.
ભારત તરફથી મોહમ્મદ શમીએ 5 વિકેટ, જ્યારે બુમરાહ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી. ચહલ ઘણો ખર્ચાળ સાબિત થયો હતો અને તેણે 10 ઓવરમાં 88 રન આપ્યા હતા.
ભારતની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. વિજય શંકરના સ્થાને રિષભ પંતનો સમાવેશ કરાયો હતો.