માન્ચેસ્ટર : રિષભ પંતની (Rishabh Pant)શાનદાર સદીની મદદથી ભારતે ઇંગ્લેન્ડ (IND vs ENG)સામેની ત્રીજી વન-ડેમાં 5 વિકેટે વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 259 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 42.1 ઓવરમાં 5 વિકેટે પડકાર મેળવી લીધો હતો. આ સાથે જ ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી છે. ટીમ ઇન્ડિયાએ (Team India) ત્રીજી વખત ઇંગ્લેન્ડની ટીમને વન-ડેમાં તેના ઘરે હરાવી છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં પંતે આક્રમક બેટિંગ કરી હતી. તેણે ડેવિડ વિલીની એક ઓવરમાં સતત 5 ફોર ફટકારી હતી.
ઇંગ્લેન્ડ સામે અંતિમ વન-ડેમાં રિષભ પંતે લિમિટેડ ઓવર ફોર્મેટમાં પોતાની કારકિર્દીની બેસ્ટ ઇંનિંગ્સ રમી હતી. પંતે અણનમ 125 રન બનાવી એકલા હાથે મોરચો સંભાળ્યો હતો અને ટીમને જીત અપાવી હતી. પંતે 113 બોલમાં 16 ફોર અને 2 સિક્સરની મદદથી 125 રન ફટકાર્યા હતા.
આ ઇનિંગ્સ દરમિયાન એક ઓવરમાં પાંચ ફોર ફટકારી હતી. ડેવિડ વિલી મેચ દરમિયાન 42મી ઓવર ફેંકવા આવ્યો હતો. આ સમયે ભારતને જીતવા માટે 54 બોલમાં 24 રનની જરૂર હતી. પંતે વિલીની ઓવરમાં સતત 5 ફોર ફટકારી હતી અને છઠ્ઠા બોલે 1 રન સાથે કુલ 21 રન ફટકાર્યા હતા.
રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં વન-ડે શ્રેણી જીતનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો
પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને 1990માં ઈંગ્લેન્ડમાં પ્રથમ વન-ડે સિરીઝ જીતવાનું પરાક્રમ કર્યું હતું. ત્યારે બે મેચની વન-ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ 2-0થી જીત મેળવી હતી. જે બાદ વર્ષ 2014માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ મેચોની શ્રેણીમાં 3-1થી હરાવ્યું હતું. હવે રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં વન-ડે શ્રેણી જીતનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત શ્રેણી જીતી છે. કેપ્ટન બન્યા બાદ રોહિતે 16 વન-ડેમાં 13 મેચ જીતી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર