ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી વિરેન્દ્ર સહેવાગે કહ્યુ છે કે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ છઠ્ઠાને બદલે ચોથા નંબર પર બેટિંગ કરવા મેદાનમાં ઉતરવું જોઈતું હતું. ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ વર્લ્ડ કપમાંથી ભારત બહાર થયા બાદ એક ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન સહેવાગે આ વાત કહી હતી. ધોનીએ ન્યૂઝલેન્ડ સામે ધીમી બેટિંગ કરતા 72 બોલમાં 50 રન બનાવ્યા હતા.
વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડે 18 રનથી હાર આપી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમને 240 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મંગળવારે વરસાદને કારણે પ્રથમ રમત બાદ મેચ અટકાવી દેવી પડી હતી. બુધવારે ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરથી રમત શરૂ કરી હતી અને 50 ઓવરની અંતે પોતાનો સ્કોર 211 રનમાંથી 239 કર્યો હતો.
ટોચના ખેલાડીઓ શરૂઆતમાં જ આઉટ
ભારતે બેટિંગ લેતા શરૂઆતમાં ન્યૂઝીલેન્ડે આપેલો લક્ષ્યાંક તમામ લોકોને સહેલો લાગ્યો હતો. પરંતુ જ્યારે ભારતીય ટીમે બેટિંગ કરવા ઉતરી ત્યારે ટીમના શરૂઆતના ત્રણ ખેલાડી કેએલ રાહુલ, રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે હાંફી ગયા હતા અને ફક્ત પાંચ રનના સ્કોર પર આઉટ થયા હતા. ભારતીય ટીમ માટે આ સૌથી મોટો ઝટકો હતો. આમ જોઈએ તો આ ત્રણેય ખેલાડીઓ શરૂઆતમાં જ આઉટ થઈ જતાં ભારતીય ટીમની હાર લગભગ નક્કી થઈ ગઈ હતી.
32-32 રન બનાવીને પેવેલિયન પરત ફર્યાં આ બે ખેલાડી
આ ત્રણેય બાદ મેદાનમાં ઉતરેલો દિનેશ કાર્તિક પણ 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ચોથા નંબર પર આવેલો ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ ભારતની જીતની આશા જીવંત કરી હતી. જોકે, બંને 32-32 રન બનાવીને આઉટ થયા હતા. વિરેન્દ્ર સહેવાગે જણાવ્યું કે જો પંતની જગ્યાએ ધોની મેદાનમાં ઉતરતો તો મેચ જીતવાની આશા વધી જતી. પંત આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા પણ આઉટ થઈ ગયો હતો.
ભાગીદારી કામ ન આવી
સાતમા નંબરે ઉતરેલા ધોનીએ ધીમી રમત રમતા 72 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. પંડ્યાના આઉટ થયા બાદ રમતમાં આવેલા રવિન્દ્ર જાડેજાએ ભારતીય પ્રશંસકોની આશા ફરી જીવંત કરી હતી. રવિન્દ્ર જાડેજાએ 77 રન બનાવ્યા હતા. ધોની અને જાડેજાની ભાગીદારી સારી રહી હતી. પરંતુ પહેલા જાડેજા અને પછી ધોની આઉટ થતાં ભારતીય ટીમનું સપનું તૂટી ગયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર