ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ વર્લ્ડ કપ માટે રવાના થતા પહેલા મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. બંનેએ ટીમની તૈયારીને લઈને પોતાની વાત મીડિયા સામે રાખી હતી. વિરાટ કોહલીના મતે આ વખતે બધી ટીમો શાનદાર છે, જેથી દરેક મેચમાં જીતવા માટે ઘણી મહેનત કરવી પડશે. વિરાટે કહ્યું હતું કે આ વખતે વર્લ્ડ કપની ફોર્મેટ પડકારજનક છે. કોઈપણ ટીમ અપસેટ કરી શકે છે.
વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમારા માટે સારી વાત એ છે કે બધા બોલરો ફ્રેશ છે કોઈ થાકેલા જોવા મળતા નથી. આઈપીએલના કારણે તૈયારીઓ કરવાની સારી તક મળી હતી. અમારા ખેલાડીઓએ આ ફોર્મેટથી 50 ઓવરના મુકાબલાની સારી તૈયારી કરી છે. કોઈ એક ટીમ ઉપર ફોક્સ કરવાના સવાલ પર વિરાટે કહ્યું હતું કે, જુવો, જો વર્લ્ડ કપ કપ જીતવો હોય તો આપણે પોતાની ક્ષમતાઓ સાથે રમવું જોઈએ. કોઈ એક ટીમ ઉપર ફોક્સ કરી શકાય નહીં.
કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઉપર વધારાનું દબાણ હોવાની ના પાડી હતી. શાસ્ત્રીએ કહ્યું હતું કે જો અમે અમારી ક્ષમતા પ્રમાણે રમીશું તો અમે વર્લ્ડ કપ પાછો લાવી શકીએ છીએ. આ ઘણી પ્રતિસ્પર્ધી ટૂર્નામેન્ટ છે અને અહીં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન 2015ની સરખામણીએ વધારે મજબૂત છે. આ એક મુશ્કેલ ટૂર્નામેન્ટ છે પણ લીગ સ્ટેજમાં 9 મેચ રમવાથી ટીમને લય મેળવવાની તક મળશે.
શાસ્ત્રીએ ધોની વિશે કહ્યું હતું કે તે ટીમ માટે ઘણો મહત્વનો છે. એક પૂર્વ કેપ્ટન હોવાના કારણે તેણે બતાવ્યું છે કે તે કેવી રીતે ટીમની મદદ કરી શકે છે. એક ખેલાડી તરીકે પણ તે શાનદાર છે. તમે તેના રનઆઉટ, સ્ટમ્પિંગ જોઈ લો, તે મેચમાં ઘણા મહત્વના હોય છે અને મેચના પરિણામ બદલી નાખે છે. તમે આઈપીએલમાં પણ જોઈ લો તેણે કેવી રીતે પ્રદર્શન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ 30 મે થી પ્રારંભ થઈ રહ્યો છે. ભારતીય ટીમ 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમી વર્લ્ડ કપના અભિયાનનો પ્રારંભ કરશે. આ પહેલા ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ (25 મે) અને બાંગ્લાદેશ (28 મે) સામે પ્રેક્ટિસ મેચ રમશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર