આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો 18 રને પરાજય થયો હતો. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 239 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 221 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. એકસમયે ટીમ ઇન્ડિયાએ 92 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ધોની અને જાડેજાએ સાતમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી ટીમ ઇન્ડિયાની વાપસી કરાવી હતી. જોકે 48મી ઓવરમાં જાડેજા 77 રને આઉટ થયો અને 49મી ઓવરમાં ધોની 50 રને રનઆઉટ થયો હતો. ધોની આઉટ થયો તે સમયની એક તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ છે. જે પ્રમાણે જે બોલ પર તે આઉટ થયો તે સમયે અમ્પાયરોએ મોટી ભૂલ કરી હતી.
અમ્પાયર્સથી થઈ ભૂલ?
48મી ઓવરમાં જ્યારે ધોની બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ન્યૂઝીલેન્ડના 4 ખેલાડી 30 ગજના ઘેરામાં હતા. જોકે ધોની જે બોલે રન આઉટ થયો તેના એક બોલ પહેલા ન્યૂઝીલેન્ડે ફિલ્ડિંગમાં ફેરફાર કર્યો હતો અને 30 ગજ સર્કલની અંદર 3 ખેલાડી જ રહી ગયા હતા. જોકે આ દાવાની કોઈ સત્તાવાર પૃષ્ટી થઈ શકી નથી પણ જે ફિલ્ડિંગના ગ્રાફિક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે તે પ્રમાણે 30 ગજની અંદર ન્યૂઝીલેન્ડના 3 ખેલાડી જ હતા.
જો આ વાત સાચી છે તો અમ્પાયરની મોટી ભૂલ થઈ છે. જો અમ્પાયરે આ વાતનું ધ્યાન રાખ્યું હોત તો તે બોલને નો બોલ આપવામાં આવ્યો હોત અને ટીમ ઇન્ડિયાને ફ્રી હીટ મળી હોત. આવા સમયે ધોનીએ બે રન લેવાના બદલે મોટો શોટ ફટકાર્યો હોત. જોકે આમ થયું ન હતું અને ધોની 50 રને રન આઉટ થયો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર