રાજકોટ : સૌરાષ્ટ્રના યુવાન રણજી ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના અંડર-19ના પૂર્વ કપ્તાન (Saurashtra Ranji Cricketer and India U-19 Captain Avi Barot Death) અવી બારોટનું નાની વયે નિધન થયું છે. 29 વર્ષના અવી બારોટનું ગઈકાલે અવસાન થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી છે. અવી બારોટ બેટ્સમેન અને વિકેટ કિપર હતો (Avi Barot Death Cardiac Arrest) અને તેનું મૃત્યુ હ્યદય રોગના હુમલાના કારણે થયું હોવાની માહિતી સામે આવી છે. અવી બારોટે સૌરાષ્ટ્ર અને હરિયાણામાંથી રણજીની મેચો રમી હતી. અવી બારોટનું 15મી ઑક્ટોબરના રોજ અવસાન થયું છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે 'સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અવીના અવસાનના સમાચારથી આઘાતમાં છે. તેણે સૌરાષ્ટ્ર માટે નોંધપાત્ર રમત રમી હતી. 15મી ઑક્ટોબરે અવીને એટેક આવ્યો હતો અને તેના કારણે તેનું અવસાન થયું છે.'
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે એક નિવેદનમાં જણાવ્યું કે 'અવીના અકાળે અવાસનના સમાચાર ખરેખર દુ:ખદ સાથે આઘાતજનક છે. અવી એક સારો ટીમપ્લેયર અને ક્રિકેટર હતો. તાજેતરમાં રમાયેલી તમામ ડોમેસ્ટિક મેચમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતું. અવી ખૂબ મળતાવડા સ્વભાવનો અને સારો માણસ હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેના અવસાનથી આઘાતમાં છે. '
અવી બારોટે છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ત્રણ દિવસ પહેલાં મૂકી હતી જેમાં પોતાનો મેચનો વીડિયો મૂક્યો હતો અને લખ્યું હતું કે 'હું બહુ દૂરનુ નથી જોતો મારા માટે એક પગલું જ કાફી છે' કદાચ આ જ પોસ્ટ હવે આજીવનનું સંભારણનું બનીને રહી જશે.
અવી બારોટે 38 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી જ્યારે 38 લીસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટીક T-20 મેચ રમી હતી. અવી વિકેટકિપર કમ બેટ્સમેન હતો અને ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 1547 રન અને A-ગેમ્સમાં 1030 રન કર્યા હતા. આ ઉપરાંત તેણે T-20ની A ગેમ્સમાં 717 રન નોંધાવ્યા હતા. અવી બારોટ 2019-20ની સૌરાષ્ટ્રની રણજી વિજેતા ટીમનો સભ્ય હતો.
અવી બારોટે સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીમાં 21 મેચ રમી હતી અને વર્ષ 2011માં તેને ઇન્ડિયાનો U-19 કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. શૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ગોવા સામેની મેચમાં તેણે 53 બૉલમાં 122 રન બનાવ્યા તે યાદગાર પર્ફોમન્સ હતું.