ન્યૂઝ18 ગુજરાતી : વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે મળેલી હાર બાદથી મહેન્દ્રસિંહ ધોનીના સંન્યાસને લઈ અનેક અટકળો ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું હતું કે સેમીફાઇનલ તેની કારકિર્દીની અંતિમ મેચ હતી. જોકે, ત્યારબાદ ધોની તરફથી કોઈ ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવી અને હજુ પણ દેશમાં લોકો તે પરત આવતાં કોઈ મોટી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. પ્રશંસકો તેના આઈપીએલમાં રમવાને લઈને પણ ચિંતિત છે.
ચેન્નઈ સુપર કિંગ્સે કરી પુષ્ટિ
આ દરમિયાન ધોનીના સંન્યાસને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. આઈપીએલની ફ્રેન્ચાઇઝી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે એક સૂત્રને કહ્યું કે ધોની આવતા વર્ષે આઈપીએલમાં રમશે. અહેવાલ મુજબ 38 વર્ષના ધોનીની વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની શક્યતા છે, પરંતુ તે ચેન્નઈ સુપર કિંગ્સ માટે 2020 આઈપીએલ રમશે.
વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ ધીમી બેટિંગના કારણે ધોનીને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી અનેક લોકોએ તો તેને સંન્યાસ લેવાની પણ સલાહ આપી દીધી હતી, પરંતુ તે સેમીફાઇનલમાં દિગ્ગજ વિકેટકિપરે પોતાની બેટિંગથી સારું પ્રદર્શન કરી ભારતની જીતની આશા જીવંત કરી હતી. ધોનીએ સેમીફાઇનલમાં ટીમ કપરી સ્થિતિમાં મૂકાયા બાદ રવિન્દ્ર જાડેજાની સાથે મળીને સાતમી વિકેટ માટે 116 રનની પાર્ટનરશીપ કરી હતી. પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. માર્ટિન ગપ્ટિલે તેને રન આઉટ કરીને ભારતની આશાઓ તોડી દીધી હતી.
બીજી તરફ, સેમીફાઇનલ બાદથી ધોનીની ક્રિકેટને અલવિદા કહેવાની ચર્ચા વધુ ઉગ્ર બની ગઈ હતી અને પ્રશંસકોને સમજાતું નહોતું કે શું વનડે ક્રિકેટથી સંન્યાસ બાદ ધોની આઈપીએલ રમશે કે નહીં. પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સે ખુલાસો કરી દીધો છે કે તે આગતા વર્ષને દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગમાં રમતો જોવા મળશે.