ન્યૂઝ18 ગુજરાતી : આગામી લોકસભાની ચૂંટણી માટે વલસાડ જિલ્લાનું ધરમપુર ચૂંટણી પ્રચારનું રણમેદાન બનશે. વેલેન્ટાઇનના દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ધરમપુરમાં એક સભા કરવા જઈ રહ્યા છે. વલસાડ બેઠક માટે એવું કહેવામાં આવે છે કે આ બેઠક પર જે પક્ષ વિજેતા બને છે, કેન્દ્રમાં તેની સરકાર બને છે. રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. જોકે, ચૂંટણી પ્રચારમાં ભાજપ પણ પાછું રહેવા માંગતું નથી. સમાચાર મળ્યા છે કે રાહુલ ગાંધીના વલસાડ પ્રવાસના એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વલસાડ પહોંચીને ચૂંટણી પ્રચાર શરૂ કરી દેશે!
રાહુલ Vs દેવેન્દ્ર ફડણવિસ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 14મીએ ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં એક જાહેર સભાને સંબોધન કરશે. જંગી સભાની સાથે જ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારનું રણશિંગું ફૂંકશે. હવે એવી માહિતી મળી છે કે રાહુલની સભાના એક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ધરમપુર આવી પહોંચશે. 13મી તારીખના રોજ ધરમપુર ખાતે ભાજપનું કાર્યકર્તા ક્લસ્ટર સંમેલન યોજાશે. રાહુલ ગાંધી લાલ ડુંગરી મેદાનમાં સભા કરશે તો ફડવણીસ મોહનગઢમાં ભાજપ માટે પ્રચાર કરશે. આ રીતે વલસાડનું ધરમપુર હવે ચૂંટણી પ્રચાર માટે રણમેદાન બનવા જઈ રહ્યું છે.
રાહુલ ગાંધી 14મી તારીખે ધરમપુર આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આજે (શુક્રવારે) ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ ધરમપુર પહોંચી ગયા છે. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી જ્યાં ચૂંટણી સભા સંબોધવાના છે તે સ્થળનું નિરિક્ષણ કર્યું હતું.
ધરમપુર ખાતે હાજર રહેલા અમિત ચાવડાએ તાજેતરમાં કોંગ્રેસનો પંજો છોડી જનારા આશાબેન પટેલ વિશે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "આશાબેને કયા પક્ષ સાથે જોડાવવું એ તેમને વ્યક્તિગત નિર્ણય છે. કાર્યકરો જ નેતાઓને મોટા બનાવતા હોય છે. કાર્યકર, પ્રજા અને પક્ષ સાથે જ્યારે કોઈ નેતા વિશ્વાસઘાત કરે છે ત્યારે પ્રજા તેનો પરચો બતાવતી હોય છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર