સુરત : શહેરના કતારગામ વિસ્તાર (Surat Katargam Area)માં આવેલા પ્રાણનાથ હૉસ્પિટલની બાજુમાં રહેતા એક રત્નકલાકારે આપઘાત (Surat Diamond Worker Suicide) કરી લીધો છે. યુવક છેલ્લા 17 વર્ષથી રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. છેલ્લા એક વર્ષથી બેકાર બનેલો રત્નકલાકાર લૉકડાઉન (Lockdown)ને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં હિંમત હારી ગયો હતો અને ઘરમાં પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો.
સુરતમાં લૉકડાઉન પહેલાથી જ રત્નકલાકારોની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. આ વાતનું તાજુ ઉદારણ 42 વર્ષીય ભરત સરવૈયા છે. ભરત છેલ્લા 17 વર્ષથી હીરા ઘસી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ભરત મહિને 20 હજાર જેટલા રૂપિયા કમાતો હતો પરંતુ હીરામાં આવેલી આર્થિક મંદીને કારણે તેને કારખાનામાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો.
જે બાદથી ભરત દરરોજ નોકરીની શોધમાં અલગ અલગ હીરાના કારખાનામાં જતો હતો પરંતુ કામ નથી તેવું કહીને તેને કાઢી મૂકવામાં આવતો હતો. ભરત એક વર્ષ સુધી પરિવારના સભ્યોની મદદથી ગુજરાન ચલાવતો રહ્યો હતો. ભરતને આશા હતી કે તેને ફરીથી હીરાનું કામ મળી જશે, પરંતુ લૉકડાઉને તેની આશા પર પાણી ફેરવી દીધું હતું. આખરે હિંમત હારીને તેણે ગતરોજ પંખા સાથે દોરડું બાંધીને આપધાત કરી લીધો હતો.
ભરતના આપઘાત બાદ બે દીકરાઓએ પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે. એટલું જ નહીં ભરત પોતે વિધવા માતાનો એકનો એક દીકરો અને ત્રણ બહેનનો એકમાત્ર વીરલો હતો. ભરતના આપઘાત બાદ તેના પરિવારમાં શોકનો માહોલ છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ ભરતના પરિવારના લોકોએ માંગ કરી છે કે, હાલ રત્નકલાકારોની હાલત ખૂબ જ ખરાબ છે, અમારા પરિવાર સાથે જે થયું તેવું બીજા પરિવાર સાથે ન થાય તે માટે રત્નકલાકારો માટે સહાયની જાહેર કરવામાં આવે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર