સુરત : દક્ષિણ ગુજરાતમાં ચાલતા ઝીંગા તળાવના વેપારમાં સારી કમાણી હોવાને લઇને સુરતના એક ઠગ દ્વારા નવસારીવાસી બોરસીમાં ઝીંગા તળાવની ફાળવણી કરાવી આપવાના નામે બે ઝીંગા ફાર્મર પાસેથી રૂા. 12 લાખ પડાવી ધક્કે ચઢાવનાર સુરતના પાર્લેપોઇન્ટના ભેજાબાજ વિરૂધ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
દક્ષિણ ગુજરાત આમ તો દરિયા કિનારો આવેલ હોવાને લઇને ઝીંગા તળાવ ઝીંગા ઉછેરવામાં આવે છે. જોકે આ વેપારમાં સારી કમાણી હોવાને લઇને સુરતના નાનપુરા ખાખી બાવાના મંદિરના નજીક રહેતા ઝીંગા ફાર્મર રાજુ પ્રવિણ રેતીવાલા અને તેના મિત્ર મયંક છોટુ પરમારને વર્ષ 2017થી વિચાર કરી રહ્યા હતા. ત્યારે આ સમયે તેમનો સંપર્ક પાર્લેપોઇન્ટ વિસ્તારમાં રહેતા સુકેશ ગુપ્તા સાથે થયો હતો.
આ ઇસમે નવસારી જિલ્લાના વાસી બોરસીમાં ઝીંગા તળાવની ફાળવણી કરાવી આપવાની લાલચ આપી, ખર્ચ પેટે રૂા. 11 લાખ ચુકવવા પડશે, તેમ કહ્યું હતું. જેથી રાજુ અને મયંકે એડવાન્સ પેટે રૂા. 12 લાખ ચુકવી આપ્યા હતા. ફાઇલ બે મહિનામાં મંજૂર થાય ત્યાર પછી બાકીના રૂા.5-5 લાખ ચુકવવાના હતા. પરંતુ બે મહિનામાં ફાઇલ મંજૂર થઇ ન હતી.
સમય જતાં આ ઈસમ કોઈ જવાબ નહીં આપતા આ બંને વેપારીએ, અવાર નવાર ઝીંગા તળાવ બાબતે પૂછતાં સુકેશે ગુપ્તાએ ગ્રામલોકોનો વિરોધ છે, એટલે સમય લાગશે એમ કહ્યું હતું. ત્યાર બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી અને પોતે બિમાર હોવાથી બહારગામ હોવાનું કહી વાયદા પર વાયદા કરી પોતે મતસ્ય ઉદ્યોગના ઉચ્ચ અધિકારીઓ સાથે સંર્પકમાં છે, એમ કહી સમય પસાર કર્યો હતો.
આખરે આજ દિન સુધી ઝીંગા તળાવની ફાળવણી નહીં કરાવનાર સુકેશ 2017થી સતત બહાના બાજી કરતો હતો અને આ ઈસમ અન્ય લોકો પાસેથી પણ ઝીંગા તળાવ અપાવવાના નામે પૈસા ખંખેરી લીધા હોવાનું જાણવા મળતા છેવટે રાજુએ આ ઠગ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેને લઇને ઉમરા પોલીસે ફરિયાદ ના આધારે ગુનો નોંધી આ ઠગને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.