સુરત : સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે. જોકે, આ કર્ફ્યૂમાં આવશ્યક તમામ સેવાઓ માટે બહાર નીકળવાની છૂટ છે. ખાસ કરીને જ્યારે મેડિકલ ઇમર્જન્સી હોય તેવામાં કોઈ પણ વ્યક્તિ બહાર જઈ શકે છે. જોકે, આવી માહિતીઓનો અશિક્ષિત વર્ગ સૌથી વધુ ભોગ બનતો હોય છે અને ક્યારેક તેના દુરોગામી પરિણામો પણ આવતા હોય છે. સુરતમાં આવી જ એક ઘટના ઘટી છે. આ ઘટનામાં એક શ્રમજીવી પરિવારની દીકરીને રાત્રે ઝાડા ઉલટી થઈ ગયા હતા. જોકે, તેના પિતાનો દાવો છે કે તેને બીક લાગી હતી કે પોલીસ રાત્રિ કર્ફ્યૂમાં મારશે તેથી તેણે સવારની રાહ જોઈ અને આખી દીકરીને સારવાર અપાવી નહોતી. પરંતુ સવાર પડતા મોડું થઈ ગયું હતું. આ દીકરીને તબીબોએ મૃત જાહેર કર્યાની અવિશ્વસનીય ઘટના સામે આવી છે.
બનાવની વિગતો એવી છે કે શહેરના સચિન વિસ્તારમાં મૂળ બિહારના આરા જિલ્લાનો વતની એક પરિવાર પાલીગામ સ્થિત સાંઈકૃપા સોસાયટીમાં રહે છે. આ પરિવારનો મોભી જીતેન સીંગ મજૂરી કામકરી પરિવાર જરૂરિયાત પુરી કરે છે. જોકે આ યુવાનની પાંચ વર્ષની દીકરી રિયાને ગત રાત્રે ઘરે ઝાડા ઉલ્ટી થયા જોકે પોતાની દીકરીને સારવાર માટે રાત્રિ દરમિયાન લઈને હોસ્પિટલ જાય તો પોલીસ પકડે અથવા મારે તે બીકને લઈને આખી રાત પુત્રી ને લઈને ઘરે બેસી રહ્યા હતા
સવાર થતાની સાથે પુત્રીને લઈને સારવર માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. જોકે હોસ્પિટલ ખાતે હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. જોકે તબીબો એ આ બાળકી વિષે પૂછતાં પિતાએ રાત્રે પુત્રીને ઝાડા ઉલ્ટી થતા હતા. તેને ડોકટર પાસે લઇ જવી હતી. પણ રાતે બહાર જઇશું તો પોલીસ રોકશે, મારશે કે કોઇ ટપોરી મારામારી કરીને લૂંટી લેશે તેવો ડર હતો એટલે રાતે પુત્રીને હોસ્પિટલ લાવી શક્યો નહોતો.
આજે વહેલી સવારે રિયાને સચિનની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. ત્યાંથી સિવિલ લઇ જવા કહેતા તે અહીંયા લઈએ આવ્યો હતો. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે ત્યારે કોરોના રાત્રિ કર્ફ્યૂ વિશેના અજ્ઞાનના કારણે એક નિર્દોષ બાળકીને પોતાનો જીવ ગુમાવાની વારો આવ્યો છે