સુરતને કોરોનાથી મુક્તિ નથી મળી રહી, કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. એવામાં સુરત મહાનગર પાલિકાએ 10 સીટી બસોને એમ્બ્યુલન્સમાં રૂપાંતરિત કરી છે. ઈમર્જનસી કેસીસમાં આ બસ એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે. આ 10 બસ એમ્બ્યુલન્સને શહેરના ફાયર સ્ટેશનો પર મુકવામાં આવશે. મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડે સીટી બસોને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરવા માટેનો આઈડિયા આપ્યો હતો. જેની પર અમલ મહાનગરપાલિકાના વર્ક શોપે કર્યો, અને 10 સિટી બસોને એમ્બ્યુલન્સ બનાવી.
મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના ચીફ ફાયર ઓફિસર બી કે પારીખે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ દર્દીને ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે મહાનગરપાલિકાની 10 બસોને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ બનાવવામાં આવેલી આ બસોમાં દર્દીને સુવડાવી શકાય તે માટે બેડ રાખવામાં આવ્યો છે. બેડની નીચે સ્ટ્રેચર રાખવામાં આવ્યું છે.
આ બસ એમ્બ્યુલન્સમાં વોશ બેસીન બનાવવામાં આવ્યું છે. પાણીનું 20 લીટરનું કન્ટેનર રાખવામાં આવ્યું છે. પબ્લિકને સૂચના આપવા માટે અનાઉન્સમેન્ટ સિસ્ટમ રાખવામાં આવી છે. બસ એમ્બ્યુલન્સમાં સાયરન પણ છે. આ બસ એમ્બ્યુલન્સને ફાયર સ્ટેશનો પર રાખવામાં આવશે.
આ પણ વાંચો -
સુરતમાં ચિંતા વધી: 24 કલાકમાં વધુ 271ને વળગ્યો Corona, ધારાસભ્ય પૂર્ણેશ મોદીના ભાઈનું કોરોનાથી મોત
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા પાસે પોતાની 11 એમ્બ્યુલન્સ છે. થોડાક દિવસો પહેલા જ 10 એમ્બ્યુલન્સ ત્રણ મહિનાના કોન્ટ્રાક્ટ પર ભાડેથી લેવામાં આવી છે. કોન્ટ્રાક્ટ પર લેવામાં આવેલી પ્રત્યેક એમ્બ્યુલન્સનું ભાડું દરેક મહિને 3000 કિલોમીટર લેખે 82 હજાર રૂપિયા ચૂકાવામાં આવી રહ્યું છે.
કોન્ટ્રાક્ટ પર લેવામાં આવેલી બસોનો ઉપયોગ કોરોનાના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે થઈ રહ્યો છે. હવે એમ્બ્યુલન્સ બનેલી બસોનો ઉપયોગ પણ કોરોનાના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે થશે.