ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીનો માહોલ અત્યારથી જામવા લાગ્યો છે. થોડા સમયમાં જ ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવશે. ભાજપ અ આપ દ્વારા જનસંપર્ક શરૂ કરાયો છે તો હજુ કોંગ્રેસ માટે ચૂંટણીનો તખ્તો ઘડાયો હોય તેવું લાગી રહ્યું નથી. ગુજરાત વિધાનસભાનો જંગ જીતવા માટે ભાજપે જન આશીર્વાદ યાત્રા શરૂ કરી છે.. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ ગામે ગામ જનસંપર્ક શરૂ કર્યો છે. પક્ષોની આ તૈયારી વચ્ચે આજે અમે આપને નવસારીની વાંસદા બેઠક વિશે જણાવીશુ.
વાંસદા વિધાનસભા બેઠક
વાંસદા ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું નગર તેમજ મુખ્ય મથક છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે તેનું નામ વાંસદા પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી. વાંસદા આઝાદી પહેલાં એક રજવાડું હતું. હવે વાંસદા વિધાનસભા મતવિસ્તાર ગુજરાત રાજ્યમાં આવેલ 182 વિધાનસભા બેઠકો પૈકીની 177 નંબરની બેઠક છે. આ બેઠક નવસારી જિલ્લામાં આવેલ છે. આ બેઠક અનુસૂચિત જનજાતિના સભ્ય માટે અનામત છે.
કોંગ્રેસનું ગઢ ગણાતી વાંસદા વિધાનસભા વિસ્તારમાં કુલ 141 ગામો આવેલા છે. જેમાં વાંસદા તાલુકાના 95 ગામો, ચીખલી તાલુકાના 36 ગામો અને ખેરગામ તાલુકાના 5 ગામોનો સમાવેશ થાય છે. વાંસદા તાલુકામાં 90 ટકાથી વધારે વસ્તી આદિવાસી લોકોની છે. જેમાં ઢોડિયા પટેલ અને કુકણા પટેલનો સમાવેશ થાય છે.
વાંસદા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ
વાંસદા બેઠક પર કોંગ્રેસે બૂથ પર યુથની રણનીતિ થકી ભાજપને જંગી બહુમતીથી ધોબી પછાડ આપવા કમર કસી છે. નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાની વાંસદા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. અગાઉ વાંસદા-ડાંગ વખતે અને ત્યારબાદ ડાંગ અને વાંસદા વિધાનસભા અલગ થયા બાદ પણ વાંસદા પર કોંગ્રેસ જ જીતતી આવી છે. જો કે 2017ની ચુંટણી પૂર્વે આદિવાસીઓને રીઝવવા ઓટલા બેઠકો કરી ભાજપે વાંસદા જીતવા ધમપછાડા કર્યા હતા. નવસારી જિલ્લાની 4 વિધાનસભા બેઠકોમાંથી વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી વાંસદા વિધાનસભા બેઠક જીતવા ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ધ્યાન કેન્દ્રિત કરી રાજકીય દત્તક લીધાની જાહેરાત કરતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
બેઠક જીતવા આપ પણ મેદાનમાં
આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ સિવાય આમ આદમી પાર્ટી પણ કમર કસી રહી છે. નવસારીની વાંસદા બેઠકની વાત કરીએ તો અવિનાશ ભાઈ સોલંકીની અધ્યક્ષતામાં અહીં આપ દ્વારા બપેઠકોનુ આયોજન કરવામાં આવે છે. આ બેઠકો અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવેલા કામો અને સ્થાનિક લોકોના પ્રશ્નો અને ગ્રામિણ વિસ્તારોમાં વિકાસ અંગે ચર્ચા કરી ચૂંટણીની વ્યૂહ રચના તૈયાર કરવામાં આવે છે.
કોંગી ધારાસભ્યની જંગી બહુમતીથી જીત
ગત ચૂંટણીમાં ભાજપની મહેનત પાણીમાં ગઇ હતી અને કોંગી ધારાસભ્ય અનંત પટેલ 19 હજારની લીડથી જીત્યા હતા. હવે જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે ફરી ભાજપે વાંસદા વિધાનસભા જીતવા મથામણ શરૂ કરી છે, જેમાં નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ અંગત રસ દાખવ્યો છે અને વાંસદા વિધાનસભા જીતાડવાની વાત સાથે રાજકીય દત્તક લીધાની જાહેરાત કરી છે.
હારજીતના સમીકરણ
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
પટેલ અનંતકુમાર
આઈએનસી
2012
ચૌધરી કોળુભાઈ
આઈએનસી
1972
રતનભાઈ ગામિત
આઈએનસી
1967
આર જી ગામિત
પીએસપી
1962
બહાદુરભાઈ પટેલ
આઈએનસી
ભાજપની પેજ સમિતિ સામે કોંગ્રેસની બૂથ પર યૂથની રણનીતિ
ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે વાંસદા વિધાનસભા રાજકીય રીતે દત્તક લીધી હોવાનું જાણતા વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલે પાટીલને 182 બેઠકો કબજે કરવાની વાત યાદ અપાવી હતી. આ સાથે જ વાંસદા પર ધ્યાન આપવામાં ગુજરાતની અન્ય બેઠકો ગુમાવવાનો વારો આવશે, તેવો ટોણો પણ માર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ વાંસદા બેઠક પર જીતવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે 5 વર્ષ દરમિયાન કરવામાં આવેલા કામો, આદિવાસીઓ માટે ઊઠાવવામાં આવેલા શિક્ષણ, આરોગ્ય, પાણી સહિતના પ્રશ્નો મતદારો સુધી પહોંચાડી, મતદારોને કોંગ્રેસ તરફ આકર્ષી બહુમત મેળવવાની આશા વ્યક્ત કરી હતી. આ સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખે પણ અગાઉ માઈક્રો પ્લાનિંગથી અને કોઇક કારણથી પછડાટ ખાધી હોવાની વાત કરી છે, જો કે આ વખતે ભાજપ સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરી વાંસદા વિધાનસભા જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
રાહુલ ગાંધી પોતે કરે છે પ્રચાર
કોંગ્રેસના નેતા રાહુલ ચૂંટણી પહેલા ગુજરાતનાં પ્રવાસે આવતા હોય છે. એવામાં રાહુલ ગાંધી દક્ષિણ ઝોનના વાંસદા ખાતે આદિવાસી સત્યાગ્રહ સંમેલનને પણ સંબોધી ચૂક્યા છે. જણાવી દઈએ કે આ બેઠક પર કોંગ્રેસ વતી પ્રચાર કરવા રાહુલ ગાંઘી પોતે હાજર રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં વધુને વધુ પ્રચાર કરી રહી છે.
રાજ્યસભા દરમિયાન ગરમાયો હતો માહોલ
ગુજરાતમાં જ્યારે-જ્યારે રાજ્યસભા ચૂંટણી થાય છે, ત્યારે ત્યારે રાજ્યનું રાજકારણ ગરમાય જ છે. 2020 વખતે પણ રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. આ બાબતે માંગરોળ બેઠકના કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ પર લાંચની ઓફર કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બીજી તરફ વાસંદા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ભાજપના કેટલાક અગ્રણીઓ મારફતે પોતાને કરોડો રૂપિયાની ઓફર આપવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેમના વિધાનસભા ક્ષેત્રમાં આવતા આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોને ઝડપી બનાવવાના બહાને ઓફર કરવામાં આવી હોવાનો ભાજપ પર આરોપ મૂકવામાં આવ્યો હતો.