નર્મદા : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમ (Narmada Dam)માંથી 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે નર્મદા નદી (Narmada River)હાલ બે કાંઠે વહી રહી છે. નર્મદામાં છોડવામાં આવેલા પાણીને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદાના 52 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બીજી તરફ નર્મદા નદી બે કાંઠે વહેતી થતાં ગરુડેશ્વર (Garudeshwar) ખાતે એક મંદિર (Temple) પાણીમાં ધરાશાયી થયું છે. નદીના પાણીને કારણે આસપાસની જમીન પોચી બની જતાં મંદિરે જળસમાધી લીધી છે. આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે.
મંદિરની જળસમાધી
ગરુડેશ્વર નજીક આવેલા અકતેશ્વર મહાદેવ મંદિરે જળસમાધી લીધી હતી. નર્મદામાં છોડવામાં આવેલા પાણીને કારણે નદીનું પાણી મંદિર સુધી પહોંચી ગયું હતું. આ મંદિર પાણીમાં ધરાશાયી થયું તેના લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. ત્યાં બાજુમાં આવેલી કોલોનોમાં પણ પાણી ફરી વળ્યું છે. એક સ્થાનિકે જણાવ્યું હતું કે સવારે મંદિર પાણીમાં વહી ગયું છે. બાજુમાં આવેલું દત્ત મંદિર પણ ખતરા પર છે. મંદિરની બાજુમાંથી માટીનું ધોવાણ થઈ રહ્યું છે. પાણીના મોજાને કારણે માટીનું ધોવાણ થઈ રહ્યું છે. બીજી તરફ નર્મદા નદીમાં પાણી છોડવાને કારણે નર્મદા જિલ્લામાં 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો
નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 23 દરવાજા ખોલીને ડેમમાંથી 9 લાખ 54 હજાર ક્યુએક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમની સપાટી 132.58 મીટરે પહોંચી છે. નર્મદા નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 52 ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
નર્મદામાં પૂરને કારણે અકતેશ્વર પુલના પીલરનું ધોવાણ થયું હતું. પુલના પિલરો ધોવાતા તિલકવાડા, દેવલિયા, છોટા ઉદેપુરથી રાજપીપળા જતા વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. હવે નવા ગોરા પુલ તરફથી વાહનો જશે. બીજી તરફ આ રોડ પર ટ્રાફિક વધે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને અહીં પોલીસ મૂકી દેવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર