અમદાવાદ: દેશ આઝાદીના 75 (India @75)વર્ષની ઉજવણી કરી રહ્યો છે. જે અંતર્ગત હર ઘર ત્રિરંગા (Har Ghar Tiranga) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ કેવડિયામાં શુક્રવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે જાણે કે કુદરતે જ ત્રિરંગો લહેરાવ્યો હોય તેમ મેઘધનુષ જોવા મળ્યું હતું. આ નજારાને જોઈને પ્રવાસીઓ આનંદમાં આવી ગયા હતા. બીજી તરફ સરદાર સરોવર (Sardar Sarovar dam)માંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડેમ તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે કેવડિયા પહોંચી રહ્યા છે.
સરદાર સરોવરની સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમ 134.31 મીટરની સપાટીએ પહોંચ્યો છે. હાલ ડેમમાં 129,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ ડેમના ત્રણ ગેટ ખોલીને છ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
કુદરતે ત્રિરંગો ફરકાવ્યો
કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં વરસાદથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે. સાતપુડા અને વિંધ્યાચલની ગિરી કન્દ્રા વચ્ચે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આહલાદક દ્રશ્ય સર્જાયા છે. સામી સાંજે વરસાદના વિરામ બાદ અચાનક સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મેઘધનુષ્ય દેખાતા પ્રવાસીઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા. હાલ હર ઘર ત્રીરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મનમોહક નજારો જોવા મળ્યો હતો. બે દિવસ બાદ સ્વતંત્રતા પર્વ છે ત્યારે કુદરતે જાણે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ત્રિરંગો ફરકાવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વિગત જોઈએ તો સરેરાશ 83.70 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધારે 133.79 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.18 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 71.87 ટકા, સૌરાષ્ટ્રમાં 78.30 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 93.28 ટકા વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વિગત જોઈએ તો 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના વિજાપુરમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના પાંચ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના 59 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર