દીપક પટેલ, નર્મદા : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી સરકારે આજથી (બુધવાર) પાણી છોડવાનો નિર્ણય લીધો છે. બુધવારથી 1500 ક્યુસેક પાણી ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવશે. ડેમના ગોડબોલે ગેટમાંથી આ પાણી છોડવામાં આવશે.
નર્મદા નદીમાં હાલ પાણી ઓછું હોવાથી અને ભરૂચ ખાતે દિવસેને દિવસે ખારાશનું પ્રમાણ વધી રહ્યું હોવાથી નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી સમયે દરિયાનું પાણી ઘૂસી જવાને કારણે આ વિસ્તારમાં ખારાશનું પ્રમાણ વધી ગયું છે. આથી ભરતીના સમયે પણ ડેમમાંથી પાણી છોડવામાં આવશે.
હાલ કરજણ ડેમમાંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પાણી છોડવા માટે રજુઆત કરી હતી. જે બાદમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નર્મદા નદીને જીવંત રાખવા માટે 1500 ક્યુસેક પાણી છોડવામાં આવશે.