ઈશાન પરમાર, સાબરકાંઠા : સાબરકાંઠા જીલ્લાનાં ટામેટાની નિકાશ બોર્ડર સુધી થાય છે. પરંતુ, હાલમાં તો આ ટામેટાને ખેડૂતને રાતા પાણીથી રોવડાવ્યાં છે. સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે ખેડુતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કપાસ, મગફળી, કઠોળ બાદ હવે શાકભાજી પણ બગડી જતા ખેડુતો પર ચિંતાના વાદળો છવાયા છે.
રૂપાલ કંપાનાં ખેડૂત, રાજેશ પટેલે ન્યૂઝ18ગુજરાતીની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'આ વર્ષે પાછોતરો વરસાદ, વાવાઝોડું આવતા ટામેટાના પાકને નુકશાન થયુ છે. તેના છોડ પડી ગયા છે, તો ફુલ પણ પડી ગયા છે અને પાકમાં પણ સુકારો લાગ્યો છે.'
છેલ્લા કેટલાય દિવસથી છવાયેલ વરસાદી માહોલનાં કારણે ટામેટાના માંડવા ક્યાક પડી ગયા છે. તો જે પાક પર ફુલ બેઠા હતા તે ફુલ પણ પડી જતા ઉત્પાદન હવે મોડુ થઈ શકે તેમ છે. આમ તો અત્યારે ટામેટા લેવાની સીઝન શરૂ થઈ ગઈ છે પરંતુ ટામેટાના પાકને કમોસમી વરસાદે નુકશાન પહોચાડતા પાક હવે એક મહિના મોડો લેવામાં આવશે. એક બાજુ ભાવ હાલમાં વધુ છે ત્યારે ઉત્પાદન નથી જેને લઈને ખેડુતોને હાલ તો બંને બાજુ નુકશાન થઈ રહ્યુ છે.
રૂપાલ કંપાનાં ખેડૂત, સુરેશભાઈ પટેલે ન્યૂઝ18ગુજરાતીની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'હાલમાં પાક લેવાની સીઝન છે પરંતુ ફુલ પડી જતા ટામેટા મહિના મોડા થશે. અમને બંને બાજુ હાલ નુકશાન નડી રહ્યુ છે.
અનાજ, કઠોળ, કપાસ, મગફળી બાદ હવે શાકભાજીમાં પણ ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ટામેટા ઉપરાંત હજુ તો વાવોળ, પાપડી, વેલાવાડી શાકભાજીમાં પણ નુકશાન જોવા મળ્યુ છે. હવે સરકાર આ અંગે કોઈ યોગ્ય પગલા લે તેવી ખેડુતોની માંગ છે.