શ્રી મહાકાલી માતાજીના મંદિરે દૂર દૂરથી આવે છે દર્શનાર્થીઓ
સાવલી ગામમાં આવેલું મહાકાળી મંદિર નયન રમ્ય વાતાવરણ માટે પણ પ્રચલિત છે એક તરફ હજારો અને બીજી તરફ કાળા રંગના પથ્થર વાળા ડુંગર પ્રવાસીઓનું મન મોહી લે તેવી છે. અહીં લોકોની માન્યતા પૂરી થાય છે. પુત્ર પ્રાપ્તિની પણ માન્યતા છે.
Raj Chaudhary, sabarkantha: ઈડર તાલુકાના સાબલી ગામમાં શ્રી મહાકાલી માતાનું મંદિર આવેલું છે. જ્યાં મહાકાળી માતાજીના દર્શન કરવા દર્શનાર્થીઓ દૂર દૂરથી દર મંગળવાર અને રવિવારે અહીંયા આવે છે. ભક્તો માતાજીના દર્શનનો અને પ્રસાદનો લ્હાવો મેળવે છે.
ગુહાઈ ડેમ અને પહાડોની વચ્ચે બિરાજમાન છે મહાકાલી
સાબલી ગામની સીમમાં આવેલા ડુંગર અને ગુહાઈ ડેમની નયનરમ્ય વાતાવરણની વચ્ચે એક ડુંગર ઉપર મહાકાળી માતાનું મંદિર આવેલું છે, જ્યાં દર્શનાર્થીઓ દૂર દૂરથી દર્શન કરવા માટે અહીંયા આવે છે, ડુંગર ઉપર જવા માટે રોડ બનાવવામાં આવેલો છે. અડધે સુધી પ્રવાસીઓ વાહન લઇને જઈ શકે છે અને ત્યારબાદ થોડા પગથિયાં ચડીને મહાકાલી માતાના દર્શન કરી શકાય છે.
બે કોતરની વચ્ચે મૂર્તિ બિરાજમાન છે
જ્યાં મહાકાલી માતાની મૂર્તિ બિરાજમાન છે, તે જગ્યા પણ અનોખી છે. ડુંગર ઉપર ગયા પછી પણ બે કોતરની વચ્ચે કુદરતી પગથિયાં દ્વારા નીચે ઉતરીને અંદરની બાજુ મહાકાલી માતાની મૂર્તિ બિરાજમાન છે.અને તે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર જગ્યા છે કે જ્યાં ડુંગરની ટોચ ઉપર ગયા બાદ પણ બે કોતરની વચ્ચે નીચે ઉતરીને માતાજીના દર્શન પ્રાપ્ત થતા હોય.
પથ્થરમાંથી સંભળાય છે ઘંટ જેવો રણકાર
આજથી છ-સાત વર્ષ પહેલા પ્રવાસીએ ડુંગર પરથી મસ્તી કરતા કરતા પથ્થર ફેંકતા પથ્થર ડુંગરના અન્ય પથ્થર ઉપર પડ્યો ત્યારે અંદરથી જાણે કે ઝાલર નો ઘંટ વાગ્યો હોય તેવો રણકાર સંભળાયો. પછી ખબર પડી કે ડુંગર ઉપર અનેક એવા પથ્થર છે તેને હાથમાં નાનો પથ્થર લઈને કૂટતા ઘંટ જેવો રણકાર સંભળાય છે.
આ વાતની ખબર જ્યારે ગામેગામ ફેલાઈ ત્યારે અહીંયા એ સંશોધન પણ કરવામાં આવ્યું કે એવું તો શું છે આ પથ્થરમાં, કે અંદરથી લોખંડની ચીજવસ્તુઓમાં આવતો હોય તેવો અવાજ સંભળાય છે. એ માટે સંશોધનો પણ થયા પરંતુ એ પથ્થર માત્ર એક સામાન્ય પથ્થરની જેમ જ છે. છતાં પણ અંદરથી ઝાલર જેવો અવાજ સંભળાય છે એ સમગ્ર વિસ્તાર અને ભક્તજનો માટે કુતુહલ બાબત બની રહી છે.
દર પૂનમે કરાય છે ખાસ આયોજન
રણકાર વાળા પથ્થર મળ્યા બાદ અહીંયા ભક્તોનું પ્રમાણ વધ્યું છે. લોકોની મહાકાળી માતાજી પ્રત્યેની શ્રદ્ધા પણ વધી છે. પ્રવાસીઓ દૂર દૂરથી ખાસ આ પથ્થરને જોવા અને માતાજીના આશીર્વાદ રૂપી દર્શન કરવા પણ ઉમટે છે. સાબલી મહાકાલી મંદિરના પ્રશાસન દ્વારા દર પૂનમના દિવસે મહાપ્રસાદનો આયોજન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત દર દશેરાના દિવસે રાત્રે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાય છે,જેમાં 25,000 થી વધુ લોકો ગરબા રમવા અને માતાજીના દર્શન કરવા માટે આવે છે.
બાધા માનવાથી પુત્ર પ્રાપ્તિ થતી હોવાની માન્યતા
અહીંયા પુત્ર પ્રાપ્તિની બાધા ફરતી હોય તેવું માનવામાં આવે છે એના માટે પણ લોકો અહીંયા બાધા માનીને પુત્ર પ્રાપ્તિ થયા બાદ 11 રવિવારની બાધા પૂરી કરવા માટે દૂર દૂરથી ચાલતા પણ આવે છે.