કેનાલમાં સાફસફાઇ કર્યા વગર જ પાણી છોડાતા ખેડૂતો રોષે ભરાયા
Himmatnagar News: હિંમતનગરમાં કેનાલની જાળવણીના અભાવે કેનાલમાં ગાબડાં પડવા અને કેનાલ ઓવરફ્લો થવાના બનાવ સામે આવતા હોય છે. ત્યારે તંત્ર જાળવણી કરવાની તો દૂર રહી પણ એકબીજાને ખો આપી રહી છે.
ઈશાન પરમાર, હિંમતનગરઃ કેનાલની જાળવણીના અભાવે કેનાલમાં ગાબડાં પડવા અને કેનાલ ઓવરફ્લો થવાના બનાવ સામે આવતા હોય છે. ત્યારે ખેડૂતોના પાકને ક્યારેક નુકસાન થતું હોય છે તો તંત્ર જાળવણી કરવાની તો દૂર રહી પણ એકબીજાને ખો આપી રહી છે.
કેનાલમાં સાફ સફાઇ વગર જ પાણી છોડ્યું
આ વર્ષે વરસાદ સારો પડવાથી હાથમતી જળાશયમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ કેનાલમાં સાફ સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેતાં જ કેનાલમાં ગંદકીના થર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત આજુબાજુ ઝાડી-ઝાંખરાને લઈને પણ કેનાલમાં ગંદકી જોવા મળે છે. હિંમતનગરના મધ્યમાંથી પસાર હાથમતી કેનાલ પર કરોડોના ખર્ચે કેનાલ ફ્રન્ટ બનાવવામાં આવ્યો છે, પરંતુ પાલિકા અને સિંચાઈ વિભાગની જાળવણીના અભાવે કેનાલમાં ગંદકી ખદબદી રહી છે. જો રજૂઆત કરવા જઈએ તો પાલિકા સિંચાઈ પર અને સિંચાઈ પાલિકા પર ખો આપે છે.
જિલ્લામાં હજુ સુધી ગાબડાં પડવાના બનાવો બન્યાં નથી તેવું તંત્ર જણાવી રહ્યુ છે, પરંતુ કેનાલમાં સાફ સફાઈ કર્યા વગર કેનાલ ઓવરફ્લો થવાના બનાવો બને છે. તેવું અધિકારી પણ માની રહ્યા છે, ત્યારે જો કેનાલ ઓવરફ્લો થાય કે ગાબડું પડે તો સામે સામાન્ય લોકોથી લઈને ખેડૂતોને નુકસાન ભોગવવું પડતું હોય છે. ત્યારે ખેડૂતો અને સ્થાનિકોએ પણ આક્ષેપ કર્યા છે કે, ‘કેનાલમાં સાફ સફાઈ થઈ રહી નથી.’ તો બીજી તરફ અધિકારી જણાવી રહ્યા છે કે, ‘ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય જનતા અને પાલિકા જ કેનાલમાં ગંદકી કરી રહ્યા છે.’