ઈશાન પરમાર, હિંમતનગર: સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલા માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની અધધ આવક થઈ રહી છે. આજે 8 હજાર બોરીથી પણ વધુ ઘઉંની આવક નોંધાઈ છે. વાવેતરની વાત કરીએ તો જીલ્લામાં ઘઉંનું 86 હજાર કરતાં વધુ હેક્ટરમાં વાવેતર થયું હતું, પરંતુ કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. હિંમતનગરના ઓપન માર્કેટમાં આજે જાહેર હરાજીમાં અધધ એટલે કે 836 રૂપિયા ભાવ પડતાં ખેડૂતોને હાલ તો રાહત થઈ છે.
836 પ્રતિ મણનો ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી
આમ તો ખેડૂતોને આટલા બધા ભાવની આશા ન હતી, પરંતુ અત્યારે સૌથી વધુ ભાવ એટલે કે 836 પ્રતિ મણનો ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ગુજરાતમાં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે, તેવું હાલ તો ખેડૂતો માની રહ્યા છે. જેથી આસપાસના જિલ્લાના ખેડૂતો પણ અહીં આવી રહ્યા છે.
આ વખતે બેથી ત્રણ વખત માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો હતો અને ખેડૂતોમાં પણ ભાવ ઓછો મળવાનો ભય હતો. પરંતુ આ વખતે ખુલ્લી હરાજીમાં સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુથી હરાજી શરૂ થઈ છે. 430થી લઈને 836 સુધી ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. જો પલળેલા ઘઉં હોય તો તેમાં સરેરાશ 450થી લઈને 500ની આસપાસ ભાવ મળે છે. જે ઘઉં સારા હોય તેના 670થી લઈને 836 સુધી ભાવ મળી રહ્યા છે. જેને લઈને હાલ તો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ ભાવ જાણી આસપાસના જિલ્લા જેવા કે અરવલ્લી, મહેસાણા, પંચમહાલ, બનાસકાંઠાના ખેડૂતો વહેલી સવારથી જ આવી પહોંચે છે. આ ઉપરાંત આવતીકાલની હરાજી માટે અત્યારથી જ ખેડૂતો લાઈન લગાવીને ઉભા છે.
આમ તો ખેડુતોને કમોસમી વરસાદે રોવડાવ્યા છે પરંતુ હરાજીમાં ખેડૂતોને હાલ તો સારા ભાવ મળી રહ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જ્યારે સરકાર હજુ ટેકાના ભાવમાં વધારો કરે તેવી માંગ છે.