હવે કોઈ દીકરીઓને રોડ છાપ રોમિયો કરતા હશે પરેશાન કે, દીકરીઓની હશે કોઈ મુંજવણ. શરુ કરાયેલ આ પહેલમાં યુવતીઓ પેટીમાં પોતાની વિગત લખીને નાખે તેનું નામ - સરનામું ગુપ્ત રાખવામાં આવે છે
ઈશાન પરમાર, હિંમતનગર: હરિયાણાના વલ્લભગઢમાં યુવતીને ગોળી મારીને કરાયેલી હત્યા બાદ હવે ઠેર ઠેર તેને શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમો થઇ રહ્યા છે. જોકે હિમતનગરનાં યુવાનોએ આ યુવતીને શ્રધ્ધાંજલી તો આપી પણ હિમતનગર શહેર સહીત ઉત્તર ગુજરાતમાં આવી કોઈ ઘટનાના બને એ માટે અનોખી પહેલ શરુ કરી છે.
સંકટ સમયના ભાઈઓ. હા, હિમતનગર ખાતે હવે કોઈ દીકરીઓને રોડ છાપ રોમિયો કરતા હશે પરેશાન કે, દીકરીઓની હશે કોઈ મુંજવણ. આવી યુવતીઓ કે દીકરીઓને મદદ કરવા હિમતનગરના હિંદુ યુવા સંગઠનના સભ્યોએ શરુ કરી છે અનોખી પહેલ. જે અંતર્ગત શહેરના ધાર્મિક સ્થળોએ અને જાહેર જગ્યાઓએ "સંકટ સમયના ભાઈઓ" લખેલી ફરિયાદ પેટીઓ મુકવામાં આવી છે.
ઘણીવાર યુવતીઓ પોતાને થતી હેરાનગતિ બાબતે કોઈને કહી શકતી નથી. ત્યારે હિમતનગરમાં શરુ કરાયેલ આ પહેલમાં યુવતીઓ પેટીમાં પોતાની વિગત લખીને નાખે તેનું નામ - સરનામું ગુપ્ત રાખવામાં આવે છે, અને યુવતીની ફરિયાદ બાદ તાત્કાલિક તપાસ કરીને વહીવટી તંત્રને સાથે રાખી એક્શન લેવાશે. ત્યારે હિમતનગરમાં શરુ થયેલી આ પહેલને હાલમાં યુવતીઓ પણ આવકારી રહી છે.
હિમતનગરમાં શરુ થયેલી આ પહેલ હવે સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાં પણ લઇ જવાનું નક્કી કરાયું છે. ત્યારે સંકટ સમયના ભાઈઓ હવે યુવતીઓની મદદ કરવા હમેશા ખડે પગે રહેશે. ત્યારે આ પ્રયાસ થકી પણ કદાચ હવે દીકરીઓની હિમત ખુલશે તો તેઓ જીવ તો નહિ જ ગુમાવે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રોજે-રોજ છેડતી, રેપની ઘટનાઓ સામે આવતી હોય છે. યુવતીઓ હંમેશા આવા લુખ્ખા તત્વોના ડર હેઠળ જીવવું પડતું હોય છે. અનેક કિસ્સામાં યુવતીઓ સાથે છેડતી થાય છે, પરંતુ સમાજની બીકે અથવા પરિવારની બીકે અથવા શરમના કારણે આ દર્દ સહન કરી લેતી હોય છે. જે કોઈને કહી પણ નથી શકતી તો આવા કિસ્સામાં યુવતી પોતાની પરેશાની આ ભાઈઓને કહી શકશે. મહત્વની વાત એ છે કે, તેમના નામ અને સરનામા ગુપ્ત રખાશે જેથી તેમને કોઈ પરેશાની ના થાય અને તેમની સમસ્યાનું નિરાકારણ આવી શકે.