અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટમાં દર વર્ષે પાણીની પારાયણ સર્જાતી હોઈ છે. તો સાથે જ દર ઉનાળે રાજકોટ કોર્પોરેશન માં માટલા ફોડ વિરોધ પણ થતો હોય છે. પરંતુ આ વર્ષે મેઘરાજાએ રાજકોટ પર અમી દ્રષ્ટિ કરતા નહીં સર્જાઈ પાણીની પારાયણ. તો સાથે જ રાજકોટવાસીઓ ને રોજનું 20 મિનિટ પૂરતા ફોર્સથી પીવાનુ પાણી પણ મળી રહેશે.
રાજકોટ નહીં રહે નર્મદા નીર પર આધારિત, નહીં જોવા મળે માટલા ફોડ વિરોધ
એક સમય હતો જ્યારે રાજકોટ મનપામાં ઉનાળામાં માટલા ફોડ વિરોધ અચૂક જોવા મળતો. પરંતુ આ વર્ષે મેઘરાજા એ રાજકોટ પર પોતાની અમીદ્રષ્ટિ કરતા રાજકોટને 1 વર્ષ ચાલે તેટલું પીવાનું પાણી મળી ચૂક્યું છે. રાજકોટ વાસીઓને પીવા માટે આજી 1, ન્યારી 1 અને ભાદર માંથી પીવાનું પાણી મળે છે.
ક્યાં ડેમની શુ પરિસ્થિતિ છે?
રાજકોટના ન્યારી 1 ની ઊંડાઈ 7 મીટર છે. જેની કુલ કેપેસિટી 1248 એમસીએફટી પાણીની છે. ત્યારે આજરોજ ન્યારી 1ડેમ માંથી વધારાનું પાણી છોડવામાં આવ્યું હતું. ન્યારી 1માંથી રાજકોટ પશ્ચિમને પીવાનું પાણી આપવામાં આવે છે.
રાજકોટનો આજી ડેમ 29 ફૂટ ઊંડો છે. ત્યારે હાલ આજી ડેમમાં 573 એમસીએફટી પાણી છે. આજી ડેમ ની કુલ કેપેસિટી 933 એમસીએફટી પાણી ની છે. જેમાંથી રાજકોટ પૂર્વને પાણી આપવામાં આવે છે.
ભાદરની ઊંડાઈ 24.18 ફૂટ છે. ભાદર 6633 એમસીએફટી પાણીની કેપેસિટી ધરાવે છે. ત્યારે હાલ ભાદરમાં 2956 એમસીએફટી પાણી છે. આમ જોવા જઈએ તો હાલ 44.47ટકા ભાદરમાં પાણી છે.
રાજકોટના જળાશયોમાં આવ્યું પૂરતું પાણી આજી 1, ન્યારી 1 અને ભાદરમાં આવ્યા નવા નીર
ગત વર્ષે રાજકોટમાં ઓછો વરસાદ પડતા રાજકોટ નર્મદા નીર પર આધાર રાખવો પડ્યો હતો. જેના કારણે રાજકોટ મનપા એ પાણી માટે કરોડો રૂપિયા પણ ખર્ચવા પડ્યા હતા. ત્યારે આ વર્ષે મેઘરાજા એ કૃપા દર્શાવતા રાજકોટ વાસીઓને પીવાનું પૂરતું પાણી પણ મળી રહેશે. તો સાથે જ પાણી માટે કરોડો રૂપિયા પણ નહીં ખર્ચવા પડે.