Rajkot News: હાલ સનાતન ધર્મ અંગેને નિવેદનને લઈ બાગેશ્વર ધામના પીઠાધેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી મીડિયાની હેડલાઇનમાં છવાયેલા છે. ત્યારે રાજકોટના એક ફૂડ કોર્ટ અને ગાર્ડન રેસ્ટોરન્ટ દ્વારા અનોખી યોજના બહાર પાડવામાં આવી છે.
રાજકોટઃ હાલ સનાતન ધર્મ અંગેને નિવેદનને લઈ બાગેશ્વર ધામના પીઠાધેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી મીડિયાની હેડલાઇનમાં છવાયેલા છે. ત્યારે રાજકોટના એક ફૂડ કોર્ટ અને ગાર્ડન રેસ્ટોરન્ટ દ્વારા અનોખી યોજના બહાર પાડવામાં આવી છે. 15 વર્ષ સુધીના બાળકોને હનુમાન ચાલીસા મોઢે બોલવાથી જમવાનું મફત મળશે. હાલ સમગ્ર રાજકોટમાં આ ઓફર ચર્ચાનું સ્થાન બની છે.
એક સમય હતો કે, જ્યારે ભારતભરમાં અનેક સંપ્રદાયો હતા. આજે પણ ભારતભરમાં હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો છે. દરેક સંપ્રદાય અન્ય કરતાં પોતે મહાન હોવાનો દાવો પણ કરે છે. આ જ પ્રકારનો દાવો જે તે સમયે આદિ ગુરુ શંકરાચાર્યના સમયમાં પણ કરવામાં આવતો હતો. તે સમયે તેમને અદ્વૈતવાદનો સિદ્ધાંત ભારત સહિત સમગ્ર વિશ્વને આપ્યો હતો. તેની સાથે જણાવ્યું હતું કે, ‘સનાતન ધર્મ હી સબસે પુરાતન એવમ શ્રેષ્ઠ હે’. ત્યારે આ જ સનાતનની પરંપરાને આગળ વધારવા માટે રાજકોટના જલારામ ફૂડ કોર્ટ અને ગાર્ડન રેસ્ટોરન્ટ દ્વારા એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
જલારામ ફૂડ કોર્ટ એન્ડ ગાર્ડન રેસ્ટોરન્ટમાં બાળકો પોતાના પરિવારજનો સાથે જમવા આવે છે. ત્યારે અહીં અવનવી વાનગીઓ પણ તેમને પીરસવામાં આવે છે. સનાતન ધર્મનો મહિમા આગળ વધે તેમ જ બાળકોમાં હનુમાનજી મહારાજની જેમ બળ અને બુદ્ધિનો સમન્વય થાય તે હેતુથી એક નવી યોજના બહાર પાડવામાં આવી છે. તેના અંતર્ગત 15 વર્ષ સુધીના બાળકો અહીં આવીને હનુમાન ચાલીસા મોઢે બોલશે તો તેમને જમવાનું તદ્દન ફ્રી આપવામાં આવશે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, હનુમાનજી મહારાજને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા ગણવામાં આવે છે. ત્યારે આજે જ્યારે બાળકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે, તેવા સમયમાં બાળકોમાં એક સકારાત્મક ઉર્જાનું નિર્માણ થાય અને બાળકો હનુમાન ચાલીસા મોઢે બોલતા થાય તે હેતુથી આ યોજના બહાર પાડવામાં આવી છે.
આજીવન યોજના ચાલુ રહેશેઃ રેસ્ટોરન્ટ સંચાલક
અહીંયા આવનાર બાળકો પાસે એક ફોર્મ ભરાવવામાં આવે છે. જેમાં તેમનું નામ, કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમજ તેમના ફોન નંબર અને તેમની ઉંમર પણ લખવામાં આવે છે. તેમજ અત્યાર સુધીમાં અહીં 20થી વધુ બાળકો આ આકર્ષક યોજનાનો લાભ લઈ ચૂક્યા હોવાનું પણ સંચાલકે જણાવ્યું છે. તેમજ વધુમાં વધુ બાળકો આ યોજનાનો લાભ લે તેમજ આ યોજના આજીવન ચલાવવામાં આવશે તેવું સંચાલકોએ જણાવ્યું છે.
તુલસીદાસજીએ જેલમાં ચાલીસા લખી હતી
ગોસ્વામી શ્રી તુલસીદાસજી રચિત હનુમાન ચાલીસા અન્ય કોઈ જગ્યાએ નહીં પરંતુ મુગલ બાદશાહ અકબરની જેલમાં લખવામાં આવી હતી. તુલસીદાસજી રચિત હનુમાન ચાલીસામાં 40 ચોપાઈ છે. તેમજ આજે પણ હનુમાન ચાલીસાનો મહિમા ઠેક ઠેકાણે ગવાઈ છે. તાજેતરમાં જ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે હનુમાન ચાલીસા કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.