રાજકોટ: આજે માર્ચ મહિનાનો બીજો ગુરુવાર છે. આજના દિવસને વિશ્વભરમાં કિડની દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં સૌથી વધુ કિડનીની બીમારીઓ સૌરાષ્ટ્રમાં જોવા મળતી હોય છે.
આમ કિડનીની બીમારીથી બચી શકાય
અનેક લોકો કિડનીની બીમારીથી પરેશાન છે. કિડનીની મુખ્યત્વે બે બીમારી હોય છે. જેમાં એક મેડિકલ અને બીજી સર્જીકલ. કિડનીમાં પથરી થવાના કેસો પણ મહત્તમ જોવા મળતા હોય છે. આ કિડનીની બીમારી અટકાવવા માટે લાઈફ સ્ટાઈલ બદલવામાં આવે તો મહત્તમ કિડનીના કેસ અટકાવી શકાય છે. આ ઉપરાંત લોકો કામ સહિતની વિવિધ બાબતોમાં સ્ટ્રેસ વધુ લેતા હોય છે. જો તેને અટકાવી શકાય તો કિડનીની બીમારીથી બચી શકાય છે.
કિડની બીમારીના મુખ્ય લક્ષણોમાં ભૂખ ન લાગવી, શરીરમાં વધુ પડતો થાક લાગવો, સવારે જ્યારે ઉઠીએ ત્યારે આંખમાં સોજા આવવા ઉબકા આવવા, ઉલ્ટી થવી, એવી અનેક બાબતો કિડનીની બીમારીના પ્રાથમિક લક્ષણો છે. છેલ્લા દસ વર્ષમાં કિડની બીમારીની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આશરે બે લાખ જેટલા લોકો કિડનીની બીમારીનો ભોગ બન્યા છે. જેમાં દસ લાખ જેટલા લોકોની સર્જરી કરવામાં આવી છે. તેમજ 4,70,000 જેટલા લોકોને ડાયાલિસિસ છેલ્લા દસ વર્ષમાં કરવામાં આવ્યું છે.
ગત વર્ષે આશરે 19000 કેસ નોંધાયા હતા
વર્ષ 2022માં આશરે 19000 કેસ નોંધાયા હતા. વર્ષ 2021માં આશરે 17,500 જેટલા કેસ નોંધાયા હતા. વર્ષ 2020માં 15500 જેટલા કેસ નોંધાયા હતા. વર્ષ 2019માં આશરે 21000 જેટલા કિડનીના કેસ નોંધાય હતા. વર્ષ 2018માં 18,000 જેટલા કિડનીના કેસ નોંધાયા હતા. આમ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં પણ અનેક લોકો કિડનીની બીમારીના ભોગ બની રહ્યા છે.