Rajkot Suicide Case: રાજકોટ બાદ જિલ્લામાં પણ આત્મહત્યાના કેસમાં ઉતરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
રાજકોટઃ શહેર બાદ જિલ્લામાં પણ આત્મહત્યાના કેસમાં ઉતરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ત્યારે આ સમગ્ર મામલે જેતપુર પોલીસ દ્વારા યુવકના આપઘાત મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, જેતપુરમાં રહેતા તેમજ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં ફરજ બજાવનારા હર્ષદભાઈ વણઝારા નામના યુવાને મોડી રાત્રે પોતાના ઘરે હૂક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ સમગ્ર બનાવની જેતપુર પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. તેમજ ઘટનાસ્થળ પર દોડી ગયેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાન હર્ષ વણઝારા વાંકાનેર ખાતે પીજીવીસીએલમાં વાયરમેન તરીકે કામ કરતો હતો. પાંચ વર્ષ પૂર્વે તેણે સોનલ રાજુભાઈ પરમાર, રાજુભાઈ હરિભાઈ પરમાર તેમજ તેના બનેવી શાંતિલાલ પાસેથી રૂપિયા અઢી લાખ વ્યાજે લીધા હતા. અત્યાર સુધીમાં તેણે તેના દસ ગણા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરી ધાક-ધમકી તેમજ ત્રાસ આપવામાં આવતો હતો. જેનાથી કંટાળીને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટનાસ્થળેથી સ્યૂસાઇડ નોટ કબ્જે કરી
જેતપુર પોલીસે પણ ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ કબ્જે કરી છે. તેમજ વ્યાજખોરો સામે દાખલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ રેન્જ હેઠળ આવતા પાંચ જિલ્લા પૈકી રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો વિરુદ્ધ સૌથી વધુ ગુના દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.