રાજકોટ: રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. રાજ્યમાં રખડતાં શ્વાનના આતંકની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે રાજકોટમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. એક દંપતી બાઇક પર જઇ રહ્યું હતું, ત્યારે કૂતરાએ મહિલાની સાડીનો છેડો પકડી લેતાં મહિલા બાઇક પરથી પટકાઇ હતી. જે બાદ તેમને સારવાાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
હવનમાં હાજરી આપવા જઇ રહ્યું હતું દંપતી
રાજકોટના કોઠારિયા ચોકડી નજીક આ બનાવ બન્યો હતો. જ્યાં હવનમાં હાજરી આપવા જતી વખતે દંપતીને કૂતરાને લીધે અકસ્માત નડ્યો હતો. જેમાં ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કોઠારીયા રોડ પારસ પાર્ક ખાતે રહેતા મનજીભાઇ ગોંડલીયા પત્નોી સાથે વહેલી સવારે ગામડે જવા નીકળ્યા ત્યારે કોઠારીયા ચોકડી નજીક બનાવ બન્યો હતો. જેમાં કૂતરાએ સાડીનો છેડો પકડતાં નયનાબેને બેલેન્સ ગુમાવ્યું હતું અને પતિના બાઇક પાછળથી પટકાયા હતા. જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનો જીવ બચી શક્યો નહોતો. આ દંપતી ગોલીડા વાસંગીદાદાની જગ્યા પાસે હવનમાં હાજરી આપવા જતું હતું.
સુરતના પાંડેસરામાં પાંચ શ્વાને બાળક પર હુમલો કર્યો હતો
શ્વાન દ્વારા બાળકો પર હુમલા કરવાની અવારનવાર ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં વધુ એક એવી ઘટના બની હતી. જેમાં હડકાયા શ્વાને હુમલો કરી એક બાળકનો જીવ લઈ લીધો હતો. પાંડેસરા વિસ્તાર નજીક ભેસ્તાનના એક કપચીમાં પ્લાનમાં રમતા બાળકો પર પાંચ કરતાં વધુ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને બાળકની હાલત ગંભીર થઈ ગઈ હતી.
શ્વાને 25 બચકાં ભર્યા
મળતી માહિતી પ્રમાણે, 5 કરતાં વધુ શ્વાને હુમલો કરતા બાળકને 25 જેટલા બચકાં ભર્યા હતા. ત્યારે ગંભીર અવસ્થામાં તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પર હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. સુરતમાં સતત દિવસેને દિવસે શ્વાનનો આંતક વધી રહ્યો છે. દરરોજ 100 કરતાં વધુ લોકોને શ્વાન કરડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં સતત નાના બાળકો પર શ્વાનનો જીવલેણ હુમલો કરવામાં આવતો હોય છે. ત્યારે આવી ઘટનાને લઈને સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે.