રાજકોટ : કોરોના મહામારીના કારણે અનેક પરિવારના માળા પિંખાયા હોવાના અઢળક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે આ જ પ્રકારનો વધુ એક બનાવ રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર ગોકુલધામ આવાસ ક્વાર્ટરમાં ઘટીત થયો હોવાનું સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા ગોકુલધામ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા સરલાબેન ઘનશ્યામભાઈ ગોહેલ નામના વૃદ્ધા પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. આપઘાતનો બનાવ સામે આવતા માલવિયાનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ગીતાબેન પંડ્યા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર દોડી ગયેલા માલવિયાનગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સરલાબેન પોતાના પતિ અને નણંદ સાથે રહેતા હતા. બે દિવસ પહેલા તેમના નણંદનું કોરોનાના કારણે મૃત્યુ નિપજ્યુ હતું. તે બાબતનો આઘાત હજુ તેઓ સહન કરે તે પૂર્વે જ તેમના પતિ કોરોના સંક્રમિત હતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પતિની હાલત પણ ગંભીર હોવાથી સરલાબેન ગભરાઈ ગયા હતા ત્યારે તેમણે ન ભરવાનું પગલું ભરી લીધું હતું.
સરલાબેન નો પુત્ર ઘણા સમયથી તેમને ફોન કરતો હતો પરંતુ તેઓ તેમનો ફોન રિસીવ કરતા ન હતા. પુત્ર જ્યારે ઘરે તપાસ કરવા ગયો ત્યારે માતા લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી તેને પોલીસને જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીએ ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતા પ્રદ્યુમન નગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પણ કરી હતી. તો અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓએ આપઘાત કર્યા હોય તેવા ચાર જેટલા બનાવો સામે આવી ચૂક્યા છે.